ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં બાકી તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસોની સમીક્ષા, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજીઓ તેમજ તકેદારી આયોગના પત્રનો સમયસર નિકાલ તથા માહિતી અધિકાર અધિનિયમની અરજીઓની અપીલમાં જે તે સંલગ્ન અધિકારીશ્રીઓને હાજરી આપવા સુચના આપી હતી.
સરકારશ્રીની કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે માટે તમામ કચેરીઓને સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા,ઓનલાઇન ફાર્મર રજીસ્ટ્રેશન વધારવાની સાથે પ્રજાના પ્રશ્નોનો ઝડપી અને સમયસર ઉકેલ લાવવા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરશ્રી ડી. એમ. સોલંકી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરૂ સહિતનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.