ગાંધીનગર, સંજીવ રાજપૂત: બોટાદ જિલ્લામાં દારૂ વેચનાર ઉપર દરોડા પાડવા બાબતે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ગૃહ રાજ્ય મંત્રી વતી મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા કહ્યું હતું કે, ગુજરાત પોલીસ કોઈ પણ ગુનેગારને કે તેની સાથે સંપર્કમાં રહી મદદ કરનાર શખ્સોને છોડશે નહીં.
તા.૩૧/૦૧/૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ત્રણ દરોડા પાડી રૂ .૫૮.૬૬ લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યો. જે અનુસંધાને જવાબદાર અધિકારીઓ સામે નિયમોનુસાર ખાતાકીય પગલા લેવામાં આવ્યા છે.
સ્ટેટ મોનિટરીંગ સેલે કરેલી કામગીરી અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, સ્ટેટ મોનીટરીંગ સેલ એ રાજ્યના પોલીસ વડાશ્રીના નિયંત્રણ હેઠળનો અને સીધા જ સુપરવિઝન હેઠળ કામ કરતો રાજ્ય સરકારનો સ્વાયત સેલ છે.
SMC દ્વારા વર્ષ ૨૦૨૩ થી અત્યાર સુધીમાં પ્રોહીબીશન ધારા હેઠળ કુલ ૯૭૮ ગુનાઓ દાખલ કરી રૂ.૧૦૪.૬૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેવી જ રીતે જુગાર ધારા હેઠળ કુલ ૨૩૦ ગુનાઓ દાખલ કરી રૂ.૭.૬૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
તો બીજી તરફ ગેસ ચોરી, ખનિજ ચોરી, ખાતર ચોરી, કેમિકલ ચોરી, સળીયા ચોરી જેવા વિવિધ ૫૦ ગુનાઓ દાખલ કરી રૂ.૧૩૯.૫૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં, ૧૧૫ નાસતા-ફરતા આરોપીઓને પણ પકડી પાડ્યા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશન આપવા પાછળના કારણો અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નો જવાબ આપતા મંત્રીએ કહ્યું કે, અમુક ગુનાઓ એવા હોય છે કે જેનો વ્યાપ એક કરતા વધારે જીલ્લાનો કે સમગ્ર રાજ્યનો હોય છે.
આવા ગુનાની તપાસ માટે રાજ્ય સ્તરના પોલીસ સ્ટેશનની જરૂરીયાત પડે છે. ઉપરાંત નાર્કોટીક્સ સહિતના કેટલાક કેસોમાં ગુપ્તતા રહે તે પણ જરૂરી છે. તેથી મુખ્યમંત્રીની સૂચનાથી તા.૩૧/૦૧/૨૦૨૫ના રોજ સમગ્ર રાજ્યના કાર્યક્ષેત્રને આવરી લેતા સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશનને કાર્યરત કરવામાં આવ્યું છે.
જે દિવસે આ પોલીસ સ્ટેશન કાર્યરત થયુ તે જ દિવસે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લાઓમાં સંગઠીત ગુના આચરતી ટોળકીના કુલ-૧૦ ગેંગના સભ્યો વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી, દાખલો બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત તાજેતરમાં જ બે નાઈજીરીયન નાગરીકને પ્રતિબંધિત ડ્રગ્સ(કોકેઈન) ૧૪૯.૫૧૦ ગ્રામ, કિં.રૂ.૧,૪૯,૫૧,૦૦૦/- સાથે પકડી પાડી, (NDPS) એક્ટ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.