અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના કરેલ હતી.
જે સૂચના અન્વયે નારોકિટીક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવેલ હતું. દરમ્યાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીને બાતમી મળેલ કે, (૧) વિશાલ પંડયા (૨) ધ્વનિત મહેતા (૩) અર્જુન અલગોતર (૪) ધૈર્ય ઝરીવાલા (૫) શેલાભાઇ ભરવાડ (૬) મુકેશ બામ્ભા નાઓએ હરીયાણા, નુહમાં બંદુકની દુકાન ધરાવતા સૌકતઅલી, ફારુકઅલી, સોહીમઅલી તથા આસીફનાઓને ઘણી મોટી રકમ આપી તેઓ પાસે મણીપુર રાજય તથા નાગાલેન્ડ રાજયના બોગસ હથિયાર લાયસન્સો પોતાના નામે બનાવડાવી તેઓ પાસેથી હથિયારો ખરીદી લાવેલ છે.
તેમજ તેઓએ પોતાની ગેંગના માણસો તથા ગુજરાતના બીજા ઘણા બધા માણસોને બોગસ હથિયાર લાયસન્સો તથા હથિયારો અપાવડાવેલ છે.
જે આધારે એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે તારિખ ૦૭/૦૪/૨૦૨૫ ના રોજ ગુના નં I-૦૨/૨૦૨૫ હેઠળ આર્મસ એક્ટની કલમ નં ૨૫(૧-બી)(એ), ૨૭, ૨૯, ૩૦ હેઠળ કુલ સાત ઈસમો (૧) સેલાભાઇ વેલાભાઇ બોળીયા, (૨) વિશાલ મુકેશભાઇ પંડ્યા, (૩) અર્જુન લાખુભાઇ અલગોતર, (૪) ધૈર્ય હેમંતભાઇ ઝરીવાલા, (૫) સદ્દમ હુસૈન, (૬) બ્રીજેશ ઉર્ફે બિટ્ટુ મહેતા તથા (૭) મુકેશ રણછોડભાઈ બાંભા સામે ગુનો નોંધવામાં આવેલ.
જેની પુછપરછ દરમ્યાન બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગના કુલ ૪૯ ઈસમોની સંડૉવણી ખૂલવા પામેલ છે, જે પૈકી ૧૬ ઈસમો (૧) અનિલ ગૌરિશંકર રાવલ, (૨) અરજણ વિહા ભરવાડ(૩) ભરત રામા ભરવાડ (૪)દેહુલ રાજુ ભરવાડ (૫) દેહુર બચુ ભોકરવા (૬) જનક બલુ પટેલ (૭) જય શાંતિલાલ પટેલ (૮) જગદિશ રેવા ભુવા (૯) લાખા રઘુ ભરવાડ (૧૦) મનિશ રમેશ રૈયાણી (૧૧) નિતેશ ભાયા મિર (૧૨) રમેશ ભોજા ભરવાડ (૧૩) રિશિ ઉમેશભાઈ દેસાઈ (૧૪) સમિર ભિખુ ગધેથરિયા (૧૫) વજોગા ભરવાડ અને (૧૬) વિરમ સોંડા ભરવાડ ની તા. ૧૦/૦૪/૨૦૨૫ ના રોજ વહેલી સવારે ૦૧:૦૦ વાગે ધરપકડ કરવામાં આવેલ.
આ અટક કરેલાક ઈસમો પૈકી કેટલાક અગાઉ પણ ગુનાહિત પ્રવૃતિમાં સામેલ હતા. ઉપરોક્ત ૧૬ લોકો પાસેથી ૦૮ રિવોલ્વર તથા તેના ૩૧૦ રાઉન્ડસ, ૦૨ પિસ્તોલ તથા તેના ૮૮ રાઉન્ડસ અને ૦૫ 12 બોર ગન તથા તેના ૯૧ રાઉન્ડસ મળી કુલ ૧૫ હથિયાર સાથે ૪૮૯ રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવેલ છે.
જે આધારે એ.ટી.એસ. ગુજરાત ખાતે ઉપરોક્ત ૧૬ ઈસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હાલ સુધી બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર કુલ ૨૩ ઈસમોની અટકાયત કરવામાં આવેલ છે. આ ઉપરાંત કુલ ૧૦૮ ઈસમોએ પણ શંકાસ્પદ રીતે હથિયાર મેળવેલ હોઈ આ કેસમાં ઘણાં હથિયારોની રીકવરી થવાની શક્યતા રહેલ છે જે અંગે ગુજરાત એ.ટી.એસ. દ્વારા આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં સામેલ ઈસમો અંગે સઘન તપાસ ચાલુ છે.