વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
ખંભાત તાલુકાનું શકરપુરા ગામ કે જે ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દિકરીઓ રીના,ઈશા અને પ્રિયા પોતાના પિતા અશ્ર્વિનભાઈના ખેતરની પાસે આવેલા તળાવ પાસે રમે છે અને એક દિકરીનો પગ લપસતા તળાવમાં પડે છે.
બીજી બે બહેનો તેને બચાવવા જતા તે પણ ડૂબી જાય છે.આ ઘટના તા 30 ઓગસ્ટના રોજ બનતા શ્રી અશ્વિનભાઈ બારૈયાનો પરિવાર હતપ્રભ બની જાય છે. પૂજ્ય મોરારીબાપુ આ રીતે આકસ્મિક રીતે નિર્વાણ પામતા દરેક મૃતાત્માઓની શ્રદ્ધાંજલિ રૂપે રૂપિયા 15,000 ની સહાય પહોંચાડતા હોય છે.
આ ત્રણેય દીકરીઓને કુલ 45000ની શ્રદ્ધાંજલિ સહાય અર્પણ કરવા માટે ચિત્રકૂટધામ તલગાજરડાના પ્રતિનિધિઓ જ્યારે તા. 5 સપ્ટેમ્બર શિક્ષકદિનના પવિત્ર દિવસે તેમના ઘરે ગયા ત્યારે અત્યંત ભાવુક એવા દ્રશ્યો સર્જાયા હતા.
આ ગામની શાળાના આચાર્યા સુશ્રી દિપલબેન વાઘેલા,શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ભીખાભાઈ પટેલ, શિક્ષકો સંજયભાઈ વાણંદ અને ધવલભાઈ જોશી વગેરે લોકો તેમના પરિવારને સાંત્વના આપતા હતા ત્યારે તે પરિવારનો ભાવ હતો કે દીકરીઓની ખોટ કોઈ રીતે પૂર્તતા થઈ શકે તેમ નથી.પરંતુ પૂજ્ય મોરારિબાપુએ સાંત્વના સંદેશ મોકલીને અમોને કૃતકૃત્ય કર્યા છે.
એટલું જ નહીં અમને અંધારી ઘડીમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું કામ પૂજ્ય બાપુએ કર્યું છે. અમે તેના માટે જેટલા શબ્દો વાપરીએ એટલા ઓછા છે.પૂ.બાપુ જેવા સમર્થ વ્યક્તિત્વને અસ્તિત્વએ અમારી પાસે મોકલ્યું છે તે અમારા ભાગ્યની ઘડી છે.
આ ટાણે એસએમસીના સભ્યો, શાળા પરિવાર, ગ્રામ પંચાયત અને તમામ ગ્રામજનોએ બાપુ માટે આભાર પત્ર પણ પ્રતિનિધિઓને સુપ્રત કર્યો. જો કે બાપુ આવો પત્ર સ્વીકારતા નથી પરંતુ કોઈનો અસ્વીકાર પણ બાપુ પાસે નથી. તેથી તેનો સ્વીકાર કરાયો.
પૂજ્ય બાપુની આ” સેવા સુવાસ’ આસપાસના વિસ્તારોમાં પણ સૌના હૃદયને ભીની કરી ગઈ.
















