સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક પ્રગતિને ધ્યાનમાં રાખીને મહત્વાકાંક્ષી ‘મિશન કામયાબ’ પ્રોજેક્ટનો પરિચય કરાવવામાં આવ્યો. પ્રોજેક્ટ હેડ શ્રી રઘુરામ આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ભારતના જાણીતા ગણિતશાસ્ત્રી, શિક્ષણવિદ્, પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત તથા Super 30ના સ્થાપક-ડિરેક્ટર શ્રી આનંદ કુમારનું પ્રેરણાદાયી સત્ર રહ્યું. ધોરણ 10 અને સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ સાથે તેમણે પોતાના જીવનસંઘર્ષ, અનુભવો અને સફળતાની સફર શેર કરી હતી.
શ્રી આનંદ કુમારે સફળતા માટે જ્ઞાનની તરસ, હકારાત્મક અભિગમ, અથાગ પરિશ્રમ અને ધીરજ જેવા ચાર મંત્રો પર ભાર મૂક્યો હતો. તેમના પ્રેરણાદાયી સંબોધનથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને લક્ષ્યપ્રાપ્તિ માટે નવી ઊર્જાનો સંચાર થયો હતો.
આ પ્રસંગે સરદાર પટેલ સેવા ટ્રસ્ટના સેક્રેટરી ડૉ. જે. પી. મૈયાણી, ટ્રસ્ટીશ્રીઓ શ્રી મનહરભાઈ કાકડિયા, શ્રી નાનુભાઈ વાઘાણી, શ્રી ભીખાભાઈ પટેલ અને શ્રી ટી. એમ. પટેલ સહિત વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.
IITમાં પ્રવેશ મેળવી સંસ્થાનું ગૌરવ વધારનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું શ્રી આનંદ કુમારના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા CEO ADMIN શ્રી જિગ્નેશભાઈ અને CEO Education શ્રીમતી સરિતા મલિકના માર્ગદર્શન હેઠળ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શિક્ષક શક્તિ પાટેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતે સાયન્સ વિભાગના હેડ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
‘મિશન કામયાબ’ દ્વારા ભાવનગરના વિદ્યાર્થીઓને IIT સહિત પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે યોગ્ય માર્ગદર્શન, પ્રેરણા અને સફળતાની દિશા પ્રાપ્ત થશે.
















