પાટણ, અનિલ રામાનુજ, એબીએનએસ; સમગ્ર ગુજરાતના લોકોને પોતાની કોમેડી અને મનોરંજનના માધ્યમથી હસાવનાર જાણીતા કોમેડી કલાકાર ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ભાભર ગૌશાળા પાસે બાઇકને અકસ્માત નડતાં આ દુઃખદ ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, સુઈગામના વતની અને કોમેડી જગતમાં ‘ગુજુ લવ ગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડ ભાભર નજીક અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ગુજરાતમાં પોતાની કોમેડીથી લોકોના ચહેરા પર હાસ્ય લાવનાર કલાકારના અચાનક નિધનના સમાચારથી ચાહકો અને મનોરંજન જગતમાં શોકની લાગણી પ્રસરી છે.
ઘટનાની જાણ થતાં ચંદન રાઠોડના ચાહકો અને પરિચિતો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ, બાઇકને કયા વાહન સાથે ટક્કર લાગી હતી તથા અન્ય વિગતો અંગેની સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
‘ગુજુ લવ ગુરુ’ તરીકે પોતાની આગવી ઓળખ બનાવનાર ચંદન રાઠોડના નિધનના સમાચારથી તેમના ચાહકોમાં ભારે દુઃખ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા અને કોમેડી ક્ષેત્રે તેમની કામગીરીને યાદ કરી ચાહકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
















