શંખેશ્વર, સંજીવ રાજપૂત: વઢિયાર પંથકમાં આવેલ શંખેશ્વર મહાતીર્થે ગ્રામ પંચાયત સંચાલિત ગૌશાળામાં ગાયોને માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 50મી દીક્ષા તિથિ નિમિત્તે 500 કિલો લીલા શાકભાજી ખવડાવામાં આવેલ.આવા જીવદયાના અવસરે પૂજય મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ એ જણાવેલ કે જીવદયા જૈન ધર્મનો આત્મા જીવદયા જૈન ધર્મનું હૃદય અને આત્મા છે.
જૈન દર્શન અનુસાર જગતમાં રહેલો દરેક જીવ સૂક્ષ્મ કે સ્થૂલ આત્માવાન છે અને સુખ-દુઃખની અનુભૂતિ કરે છે.તેથી કોઈપણ જીવને મન,વચન કે કાયાથી દુઃખ ન પહોંચાડવું એ જ સાચી ધર્મ સાધના છે.“અહિંસા પરમો ધર્મઃ”નો ઉપદેશ જીવદયાનો સર્વોચ્ચ આધાર છે.
જૈન ધર્મમાં જીવદયા માત્ર ભાવના નહીં,પરંતુ વ્યવહારિક જીવનપદ્ધતિ છે.જીવદયા અપનાવનાર સાધક માત્ર પોતાનું નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે છે.તેથી જ જૈન ધર્મમાં જીવદયાને મોક્ષ માર્ગની પ્રથમ અને અનિવાર્ય સોપાન માનવામાં આવ્યું છે.આ 500 કિલો લીલા શાકભાજી નો લાભ લેનાર એક પરમ ગુરુભક્ત પરિવાર એ સુંદર લાભ લઇ જીવદયા નું ઉત્કૃષ્ટ કાર્ય કરેલ.
આ ગૌશાળામાં પૂજય મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ પધારેલ અને તમામ ગાયોને નવકાર મંત્ર સાંભરાવેલ.સાથે પૂ.સાઘ્વીજી ભગવંતો પણ પધારેલ.આ અવસરે શ્રીમતિ અરુણાબેન પટેલ (પી.આઈ-શંખેશ્વર પોલીસ) થરા પાંજરાપોળના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ પાંચણી,રાજુભાઇ જોષી,સુનિલભાઈ રાવલ,જનકભાઈ બારોટ,અજીતસિંહ વાઘેલા,રવિભાઈ શર્મા,ભાવેશભાઈ જાડેજા,કિશનજી ઠાકોર, પ્રદીપસિંહ વાઘેલા વિગેરે ઉપસ્થિત રહી ગાયોને લીલા શાકભાજી ખવડાવેલ.
















