Latest

અમરેલી બ્રોડગેજ કમિટી દ્વારા રેલ્વે સ્ટેશનની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

૧૯૧૨નું ઐતિહાસિક સ્ટેશન બિલ્ડિંગ તોડ્યા વિના બ્રોડગેજ લાઇન શરૂ કરવી અશક્ય

જમીન સંપાદન, મંદિર સ્થળાંતર અને અપૂરતી મુસાફર સુવિધાઓ અંગે કમિટીની ગંભીર ચિંતા

અમરેલી જિલ્લાના લાખો નાગરિકો લાંબા સમયથી જે બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, તેની વાસ્તવિક સ્થિતિ જાણવા આજે અમરેલી બ્રોડગેજ કમિટીના આગેવાનો, વડીલો અને સામાજિક કાર્યકરોએ અમરેલી રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈ સ્થળ પર પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે સ્થાનિક મીડિયા અને પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.નિરીક્ષણ બાદ કમિટીના મુખ્ય અગ્રણી રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે રેલવે વિભાગની ધીમી કામગીરી, વહીવટી વિલંબ અને અધૂરી તૈયારીઓને કારણે સમગ્ર જિલ્લામાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે વર્ષ ૧૯૧૨માં નિર્મિત ઐતિહાસિક રેલવે સ્ટેશન બિલ્ડિંગ ટ્રેકની અત્યંત નજીક આવેલું હોવાથી રેલવેના નિયમો મુજબ તેને દૂર કર્યા વિના નવું પ્લેટફોર્મ તથા બ્રોડગેજ લાઇન કાર્યરત કરવી શક્ય નથી.

બ્રોડગેજ લાઇનનું કામ હાલમાં ઈશ્વરીયા–માચીયાળા વચ્ચે ફાટક નં. ૧૬ પાસે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ ન થવાને કારણે અટવાયેલું છે. ઉપરાંત હનુમાનપરા રોડ પર આવેલા મંદિરોના સ્થળાંતરનો પ્રશ્ન પણ હજુ સુધી ઉકેલાયો નથી, જેના કારણે કામગીરીમાં વધુ વિલંબ થઈ રહ્યો છે. સ્ટેશન પરિસરમાં નિર્માણાધીન અંડરબ્રિજનું કામ પણ અધૂરું હોવાનું કમિટીએ નોંધ્યું હતું.કમિટીએ વધુમાં જણાવ્યું હતું કે નવું નિર્માણાધીન રેલવે સ્ટેશન મુસાફરોને ધ્યાનમાં રાખીને પૂરતી સુવિધાઓ સાથે વિકસાવવામાં આવ્યું નથી.

વિશાળ પ્રતીક્ષાલય, પૂરતી બેઠક વ્યવસ્થા, સ્વચ્છ શૌચાલય, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, દિવ્યાંગજનો માટે અનુકૂળ વ્યવસ્થા સહિતની અનેક મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે. મુસાફરોને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્ટેશનને આધુનિક અને સર્વસુવિધાસંપન્ન બનાવવાની માંગ કરવામાં આવી છે.

કમિટીએ સ્થાનિક સાંસદને રજૂઆત કરીને બ્રોડગેજ લાઇન શરૂ થાય તે પહેલાં જ અમરેલીથી અમદાવાદ, સુરત, મુંબઈ અને હરિદ્વાર માટેની ટ્રેનોનું સમયપત્રક તથા જરૂરી મંજૂરીઓ અગાઉથી મેળવવાની માંગ કરી છે, જેથી લાઇન શરૂ થતાં જ જિલ્લાની જનતાને તેનો સીધો લાભ મળી શકે.અંતમાં અમરેલી બ્રોડગેજ કમિટીએ રેલવે તંત્ર અને સંબંધિત વહીવટી વિભાગને બાકી રહેલા તમામ પ્રશ્નોનો યુદ્ધના ધોરણે ઉકેલ લાવી બ્રોડગેજ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ કરવાની ભારપૂર્વક માંગ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *