અમદાવાદ, સંજીવ રાજપૂત: આસામ રાઇફલ્સના શૌર્ય, અડગતા અને વારસાની સ્મૃતિમાં યોજવામાં આવેલી ઐતિહાસિક મોટરસાઇકલ રેલી ‘શૌર્ય યાત્રા’નું 24 માર્ચ 2025 ના રોજ કચ્છના રણ ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું. 10 માર્ચ 2025 ના રોજ અરુણાચલ પ્રદેશના વિજયનગરથી ફ્લેગ-ઓફ કાર્યક્રમ સાથે પ્રારંભ થયેલી આ રેલી નવ રાજ્યોમાંથી પસાર થઈ હતી અને કુલ 4,000 કિલોમીટર કરતાં વધુ અંતર કાપીને ‘આસામ રાઇફલ્સ દિવસ’ પર કચ્છના રણ ખાતે એક ભવ્ય ફ્લેગ-ઇન સમારંભ સાથે સંપન્ન થઈ હતી.
આ રેલીના મુખ્ય ઉદ્દેશ્યો અહીં ઉલ્લેખ કર્યા મુજબ હતા: (a) નાગરિક-સૈન્ય સંબંધોને મજબૂત બનાવવા: સમગ્ર ભારતના સમુદાયો સાથે જોડાણ સ્થાપિત કરવું અને દેશની સુરક્ષા તેમજ વિકાસમાં આસામ રાઇફલ્સે આપેલા યોગદાનનું પ્રદર્શન કરવું (b) યુવાનોને પ્રેરણા આપવી: શાળાઓ અને કોલેજોની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવા અને દેશભક્તિ તેમજ શિસ્ત કેળવવા માટે માટે સશસ્ત્ર દળોમાં જોડાવાની પ્રેરણા આપવી. (c) સેવાનિવૃત્ત સૈનિકોનું સન્માન (ESM): સેવાનિવૃત્ત સૈનિકો સાથે સંવાદ કરવો, તેમના બલિદાનનો સ્વીકાર કરવો અને આસામ રાઇફલ્સની તેમના બંધુત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવી (d) રાષ્ટ્રની એકતાને પ્રોત્સાહન આપવું: ભારતના સૈન્ય અને સાંસ્કૃતિક વારસામાં સમાયેલા સહિયારા ગૌરવ દ્વારા વિવિધ પ્રદેશોને એકજૂથ કરવા.
આ રેલીનો પ્રારંભ અરુણાચલ પ્રદેશના વિજયનગર ખાતે થયો હતો અને વિવિધ મુખ્ય સ્થળોએથી પસાર થઈ હતી અને નીચે ઉલ્લેખિત મુખ્ય સ્ટોપ તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું: વિજયનગર → જયરામપુર → જોરહાટ → દીમાપુર → ગુવાહાટી → સિલીગુડી → પટણા → વારાણસી → ગ્વાલિયર → ઉદયપુર → અમદાવાદ → ભુજ → કચ્છનું રણ દરેક સ્થળે, સેવાનિવૃત્ત સૈનિકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક સમુદાયો દ્વારા રેલીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન જાહેર સંવાદ, દેશભક્તિના કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું સૂત્ર હતું: “એક ભારત, શ્રેષ્ઠ ભારત”
રેલીના મુખ્ય અંશો અહીં મુજબ હતા: એક ઐતિહાસિક સહયોગ: ભારતીય સેના, આસામ રાઇફલ્સ અને અરુણાચલ પ્રદેશના નાગરિકો દ્વારા યોજવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી લાંબી સંયુક્ત મોટરસાઇકલ રેલીઓમાંની એક છે. સેવાનિવૃત્ત સૈનિકો સાથે જોડાણ: સંવાદાત્મક સત્રો અને જાહેર સમારંભો દ્વારા 400 થી વધુ સેવાનિવૃત્ત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. (c) યુવાનો સાથે સંપર્ક: પાંચ શાળાઓની મુલાકાત અને 3,000 થી વધુ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો, તેમને સશસ્ત્ર દળોમાં દેશભક્તિ, શિસ્ત અને કારકિર્દી માટે રહેલી તકો અંગે માહિતી આપવા માટે વિવિધ સત્રોનું આયોજન કરીને પ્રેરણા આપી. (d) ભવ્ય સમાપન: 24 માર્ચ 2025ના રોજ આસામ રાઇફલ્સના 190 વર્ષની ઉજવણીની સાથે-સાથે, કચ્છના રણ ખાતે આસામ રાઇફલ્સનો ધ્વજ ફરકાવીને રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
દરેક સ્ટોપ પર, રેલીનું પરંપરાગત સાંસ્કૃતિક પ્રદર્શન, સમુદાય કાર્યક્રમો અને જાહેર સંપર્ક કાર્યક્રમો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જે એકતા અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવા માટે આસામ રાઇફલ્સની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
“બાલ્ડ ઇગલ બ્રિગેડ” દ્વારા યોજવામાં આવેલા એક ભવ્ય સમારંભમાં રેલીનું સત્તાવાર રીતે કચ્છના રણમાં ફ્લેગ-ઇન કરવામાં આવ્યું હતું, જે આસામ રાઇફલ્સના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રસંગ હતો. શૌર્ય યાત્રા ફક્ત બાઇક રેલી કરતાં વિશેષ હતી, તે શૌર્ય, અડગતા અને એકતાની યાત્રા હતી. જેમ જેમ કચ્છના રણની ધૂળ સ્થિર થશે, તેમ તેમ આ નોંધપાત્ર અભિયાનની ભાવના આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે, જે આસામ રાઇફલ્સના સૂત્ર: “પૂર્વોત્તરના મિત્રો”નો પડઘો પાડશે.