Latest

વિધાનસભાના અધ્યક્ષએ વિધાનસભા પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતના મહાન તત્વચિંતક તથા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારતમાં પાંચમી સપ્ટેમ્બરે ‘શિક્ષક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એ દેશના સંવિધાનને કેન્દ્રસ્થાને રાખી દેશને નવી દિશા આપવાનું કામ રાષ્ટ્રપતિ હતા તે સમયે કર્યું હતું. ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં આજીવન શિક્ષક એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૬મી જન્મજયંતિએ તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાસુમન પાઠવ્યા બાદ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓ એક મહાન તત્વચિંતક, વિચારક, શિક્ષક તેમજ ભારતીય દર્શનના પ્રણેતા હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ મદ્રાસથી દુર તિરૂત્તાની નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. રાધાકૃષ્ણન બાળપણથી જ ભણવામાં હોશિયાર હતાં. તેમણે ૧૮ વર્ષની વયે સ્નાતક અને ૨૧ વર્ષની વયે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી.

વધુમાં અધ્યક્ષએ જણાવ્યું કે, વર્ષ – ૧૯૦૯માં રાધાકૃષ્ણને દર્શનશાસ્ત્રના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા હતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ દર્શનશાસ્ત્ર પર લેખ લખતા હતાં. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. ૧૯૨૬માં હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. ભારતમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં કુલપતિની સેવા આપ્યા બાદ તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ સુધી વિઝિટિંગ પ્રોફેસર પણ રહ્યા હતા. આ ઉપરાંત શ્રી રાધાકૃષ્ણનને ટેમ્પલટન એવોર્ડ, ભારતરત્ન, તેમજ અન્ય અનેક એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અધ્યક્ષએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, શિક્ષકો આધુનિક ભારતના ઘડવૈયા છે. કોઈ પણ સમાજ અથવા દેશનું સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી તે દેશના શિક્ષકોની છે. તેઓ વિદ્યાર્થીઓને સફળતાના શિખરો સુધી પહોંચવાનો માર્ગ બતાવવાનું કામ કરે છે. શિક્ષકના આ મહત્વને ધ્યાનમાં રાખીને, આપણા દેશમાં દર વર્ષે ૦૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઇન્ચાર્જ સચિવ સી.બી.પંડ્યા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 552

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *