એબીએનએસ, વી.આર. ગોધરા::સમગ્ર વિશ્વમાં તા.૧૪ જૂનના દિવસને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને રક્તદાન એ મહાદાન છે તે અંગે જાગૃત કરવામાં આવે છે.
જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ગોધરા સાર્વજનિક કોમર્સ કોલેજના એનએસએસના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગોધરા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરીને જિલ્લામાં યુવાનો જોગ માનવસેવાનો સંદેશો પ્રસરાવ્યો છે.
આ રક્તદાન કેમ્પમાં એક તરફ સાર્વજનિક કોમર્સ કોલેજની દીકરી કુ.ધ્રુવી શાહ દ્વારા પ્રથમવાર રક્તદાન કરવામાં આવ્યુંહતું જ્યારે બીજી તરફ ગોધરાના પનોતા પુત્ર હોતચંદભાઈ ધમવાણી (બાબુજી)એ ૧૫૧ મી વખત રક્તદાન કરી ગોધરા ખાતે એક અનોખો કીર્તિમાન સ્થાપ્યો છે. આ સમગ્ર કેમ્પનું આયોજન અને સંચાલનમાં કોમર્સ કોલેજ ગોધરાના પ્રિન્સિપાલ તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.અરુણસિંહ સોલંકીએ અગત્યની ભૂમિકા ભજવી હતી.
વિશ્વ રક્તદાન દિવસે રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરાના ચેરમેન ડૉ.ભોલંદા, ડૉ.જુવા, લાયન્સ ક્લબ ગોધરાના હોદ્દેદાર, કોમર્સ કોલેજ ગોધરાના પ્રાધ્યાપક ડૉ.ઉન્નતિ પરમાર સહિત કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.