જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જામનગર ખાતે ભીલ અને સિદી સમાજ દ્વારા આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજના લોકો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઓલ ટ્રાઇબલ ભીલ સમાજ, જામનગર (વાયુસેના) ભીલવાસ જામનગર દ્વારા આ પ્રસંગે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત ઢીંચડા રિંગ રોડ થી થઇ હતી જે રવીપાર્ક ટાઉનશીપ, ખોડિયાર કોલોની, સાત રસ્તા, થઈ લાલ બંગલા પહોંચી હતી જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યું હતું.
જ્યારે બીજી તરફ જામનગરમાં વસતા સિદી મુસ્લિમ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પણ આ વર્ષે ત્રીજી વાર આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મહારાણા પ્રતાપની પ્રતિમા પર ફુલહાર કરવામાં આવ્યા હતા. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન, જય જોહર અને ભારત માતા કી જયના નારા સાથે રેલી જણાવેલ રૂટ પર ફરી હતી.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જામનગર ભાજપ મહિલા મોરચાના શહેર સંગઠન મંત્રી જુલીબેન ચુડાસમા, જામનગર આદિવાસી સમાજના પ્રમુખ છગનભાઇ રાઠોડ, ઉપપ્રમુખ સનુભાઈ ચૌહાણ, મંત્રી આશિષભાઈ સહિત સમસ્ત ભીલ સમાજના આગેવાનો, સમાજના લોકો અને બાળકો આદિવાસી પૌશાકમાં તીર કમાન સાથે ઉપસ્થિત જોવા મળ્યા હતા અને આ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી.
















