અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં મિશન ફોર મિલિયન ટ્રિઝ ૨૦૨૫ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.
કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, શહેર વિસ્તારના ધારાસભ્યઓ, મહાનગરપાલિકાના હોદ્દેદારો પણ વૃક્ષારોપણમાં જોડાયા હતા. મુખ્યમંત્રીના નેતૃત્વમાં અમદાવાદ ક્લીન એન્ડ ગ્રીન સિટી બનવામાં દેશનું અગ્રેસર શહેર છે.
ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે. ક્લીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્યમંત્રીના દિશા સૂચનમાં ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રિઝ ૨૦૨૫ ચલાવ્યું છે.
મિશન ફોર મિલીયન ટ્રીઝ ૨૦૨૫ – FMT અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ ૪૦ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે. જે પૈકી તા. ૨૯-૦૭-૨૦૨૫ સુધી કરવામાં આવેલ વૃક્ષારોપણ સાથે કુલ ૨૦,૪૨,૬૮૯ વૃક્ષો રોપવામાં આવ્યા છે. આમ, ૪૦ લાખનાં લક્ષ્યાંકની સામે ૫૧% વૃક્ષારોપણની સિધ્ધી અમદાવાદ મહાનગરપાલિકાએ હાંસલ કરી છે.
આ ઉપરાંત કોઈ નાગરિક AMC સેવા એપ ઉપર રજીસ્ટ્રેશન કરે તો અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ ઘર આંગણે જઈને વિનામૂલ્યે વૃક્ષારોપણ કરી આપે તેવી સવલત પણ શહેરીજનો માટે ઉપલબ્ધ છે.