અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિન્દુ-મુસ્લિમ એકતા અને સામાજિક સૌહાર્દના અમર પ્રતિક એવા શહીદ વસંતરાવ હેગિષ્ટ અને રજબઅલી લાખાણીની સ્મૃતિમાં જમાલપુર પગથિયા સામે આવેલા વસંત-રજબ ચોક ખાતે સ્થિત વસંત-રજબ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મેયર હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડકશ્રી અતુલ મિશ્રા સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ, અધિકારીઓ અને આગેવાનોએ બંને શહીદોના બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કરીને કોમી એકતા અને ભાઈચારાના સંદેશને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે વસંત-રજબ સ્મૃતિ પર્વ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વસંતરાવ હેગિષ્ટ અને રજબઅલી લાખાણી કોમી એકતા અને ભાઈચારાના જીવંત પ્રતિક હતા. તેઓ યુવા પેઢી માટે માર્ગદર્શક સમાન રહ્યા છે અને તેમની શહાદત સમાજ માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે. આવા મહાન બલિદાનને આવનારી પેઢીઓ સતત યાદ રાખે તે માટે આ પ્રકારના સ્મૃતિ કાર્યક્રમોનું વિશેષ મહત્વ છે.
ઉલ્લેખનીય છે કે, 1 જુલાઈ, 1946ના રોજ અમદાવાદમાં નીકળેલી રથયાત્રા દરમિયાન કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. તે સમયે હિન્દુ સમાજના વસંતરાવ હેગિષ્ટ અને મુસ્લિમ સમાજના રજબઅલી લાખાણી તોફાનગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ઉશ્કેરાયેલા ટોળાંને શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે સમજાવી રહ્યા હતા.
પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં બંનેએ નિર્ભયતાપૂર્વક ટોળાં સામે ઊભા રહી, “કોઈને મારવા જ હોય તો પહેલાં અમને મારી નાખો,” એમ કહી લોકોના જાનમાલની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. તેમના આ અદ્વિતીય બલિદાનને કારણે તેઓ હિન્દુ-મુસ્લિમ એકતા અને માનવતાના અમર પ્રતિક તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે.
વસંતરાવ હેગિષ્ટ અને રજબઅલી લાખાણીના આ અમૂલ્ય બલિદાનને ચિરંજીવ રાખવા માટે અમદાવાદની ગાયકવાડ હવેલી ખાતે વસંત-રજબ બંધુત્વ સ્મારક મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ તેમની આ અસાધારણ કુરબાનીને બિરદાવી હતી અને તેમના સાહસ તથા માનવતાની ભાવનાની પ્રશંસા કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલા આ સ્મૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વસંતરાવ હેગિષ્ટ અને રજબઅલી લાખાણીના બલિદાનને શ્રદ્ધાપૂર્વક વંદન કરીને સમાજમાં શાંતિ, સૌહાર્દ, ભાઈચારો અને કોમી એકતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
















