Ahmedabad

AMCના એસ્ટેટ વિભાગે શહેરના સાત ઝોનમાં દબાણો દૂર કરી રૂ. 8.39 લાખનો દંડ વસૂલ્યો

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ:અમદાવાદ શહેરની ટ્રાફિકની સમસ્યાને સરળ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર માર્ગો પરથી સતત દબાણો હટાવવાની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત સાતેય ઝોનના રોડ પરના દબાણ અને જાહેર માર્ગો પર વધતા શહેરવ્યાપી ગેરકાયદેસર દબાણોને હટાવવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ચાલેલી આ વિશેષ કાર્યવાહીમાં AMCએ શહેરના સાતેય ઝોનમાં જાહેર માર્ગો, હાઈવે અને વ્યસ્ત વિસ્તારોમાંથી દબાણો દૂર કરીને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન કોર્પોરેશન દ્વારા કુલ રૂ. 8,39,900નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.

AMCના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા અઠવાડિયા દરમિયાન હાથ ધરાયેલી કાર્યવાહીમાં કુલ 685 લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત 253 ગેરકાયદેસર શેડ, 915 તાડપત્રી, 1974 જાહેર માર્ગો પર લગાડાયેલા જાહેરાત બોર્ડ અને 4885 જેટલો અન્ય પરચૂરણ સામાન જપ્ત કરીને દૂર કરવામાં આવ્યો હતો. તે સાથે જ જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનો સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં 1133 વાહનો લોક કરવામાં આવ્યા હતા, 1145 વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો અને 10 વાહનોને ટોઇંગ કરીને દૂર કરવામાં આવ્યા હતા.

પશ્ચિમ ઝોનમાં ગોલ્ડન ટ્રાયએન્ગલ, સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ ગાર્ડન અંડરપાસ, નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા અને શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડમરૂ સર્કલ ઘાટલોડિયાથી ચાણક્યપુરી રોડ અને ગુજરાત હાઈકોર્ટ કોમ્પ્લેક્સ સુધીના માર્ગો, જજીસ બંગલો રોડ, પકવાન ચાર રસ્તા, માનસી સર્કલ, કેશવબાગ, ઈસ્કોન ચાર રસ્તા, થલતેજ અને વૈષ્ણોદેવી સર્કલ સુધીના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કેન્યુગ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા, પ્રહલાદનગર એસ.જી. હાઈવે, ઈસ્કોન સર્કલથી ઉજાલા સર્કલ સુધીના માર્ગો પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પૂર્વ ઝોનમાં હસ્તિનાપુર, હાટકેશ્વર સર્કલ રોડ, રબારી કોલોની, નિકોલ, સોનીની ચાલી, સારંગપુર બ્રિજ અને ઠક્કરબાપાનગરથી જશોદાનગર સુધીના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી.

મધ્ય ઝોનમાં જમાલપુર ફૂલ બજાર, APMC માર્કેટ, ગીતા મંદિર, કાલુપુર રેલ્વે સ્ટેશન, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા અને માણેકચોક વિસ્તાર સુધી દબાણ હટાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જ્યારે ઉત્તર ઝોનમાં મેમ્કોથી કુબેરનગર, હિરાવાડી BRTS, નરોડા ગામ અને નવા નરોડા સુધીના વિસ્તારો આવરી લેવાયા હતા. દક્ષિણ ઝોનમાં પીપળજ પીરાણા રોડ, સેજપુર, પી.ડી. પંડ્યા કોલેજ રોડ, ગોવિંદવાડી, ઇસનપુર, ઘોડાસર કેનાલ રોડ, હાટકેશ્વર અને CTM ક્રોસ રોડ સુધીના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

AMCના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના મિલકત માલિકો, દુકાનદારો તેમજ વાહનચાલકોને જાહેર માર્ગો અને હાઈવે પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા સૂચના આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

1 of 33

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *