ભાવનગર તા.૦૫ દર વર્ષે ૧૦મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ ઊજવાય છે. એશિયાટીક લાયન ફક્ત ભારતમાં અને એમાં પણ ફક્ત સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં વસે છે. તેથી સિંહ વિશેની સામાન્ય જાણકારી તેનાં સંરક્ષણ, સિંહ અને માનવીય સંઘર્ષના નિવારણ વગેરે બાબતો અંગે જાગૃતિ માટે ઉજવાતા સિંહ દિવસની ઉજવણીના આયોજન માટે તાજેતરમાં એક બેઠક શહેરના વિક્ટોરિયા પાર્ક ખાતે યોજાઈ ગઈ.
વિક્ટોરિયા પાર્ક ભાવનગર ખાતે નાયબ વન સંરક્ષક શ્રી દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ વિશ્વ સિંહ દિવસની ઊજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ ગઈ. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કચેરી, ભાવનગર શાસનાધિકારીશ્રી, બી આર સીઓ, તાલુકા કો ઓર્ડીનેટર્સશ્રીઓ, આર એફ ઓ તથા વન વિભાગના સ્ટાફે ઉપસ્થિત રહી જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
ભાવનગર આર. એફ. ઓ. શ્રી બી. જી. ગલાણી સાહેબે સૌનું સ્વાગત કર્યું. સાથે વિશ્વ સિંહ દિવસની ઊજવણી શા માટે કરવામાં આવે છે તેની માહિતી આપી હતી. દક્ષિણ આફ્રિકામાં સિંહોની ઘટી રહેલ વસ્તીના સંદર્ભમાં ૨૦૧૩થી વિશ્વ સિંહ દિવસ ઊજવાય છે. તેની સાથે આપણે ત્યાં ભાવનગર જિલ્લામાં ૨૦૧૬-૧૭ થી આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. આપણે ત્યાં ૨૦૨૫ની વસ્તી ગણતરી મુજબ નોંધાયેલ ૮૯૧ સિંહો પૈકી ભાવનગર જિલ્લામાં ૧૧૬ સિંહો વસવાટ કરે છે. હાલ ભાવનગરની ભાગોળે સિંહો આવી ગયાં છે ત્યારે તેના વિશે જાગૃતિ અને જાણકારી જરૂરી છે એ બાબતે વિસ્તૃત વાતો કરી હતી.
ACF ભટ્ટ સાહેબે સિંહ વિશે વાત કરતાં કહ્યું હતું કે માણસની વસ્તી વધી છે તો તેની સાપેક્ષમાં સિંહોની વસ્તી પણ વધી છે એટલે તેને રહેવા માટે વધારે જગ્યા જોઈએ એ સ્વાભાવિક છે. ત્યારે સિંહોની સંખ્યા વધતાં માનવ અને વન્ય પ્રાણી વચ્ચેના સંઘર્ષ નિવારવા પર તેમણે ભાર મૂકયો હતો. સાથે ACF રાઠવા સાહેબે સિંહ દિવસ ઊજવણી ખૂબ સારી રીતે થાય અને શાળાઓના બાળકો ઉપરાંત સ્થાનિક લોકો પણ જોડાય તે માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરે સિંહ દિવસ ઊજવણીની કીટનું સમયસર વિતરણ થઈ જાય એ માટે આયોજન આપ્યું હતું. તેમજ ઊજવણી પૂર્વેની આ આયોજન બેઠક માટે ભાવનગરના વન વિભાગનો આભાર માન્યો હતો.
















