રૂ.43,500નો મુદ્દામાલ રિકવર, બે આરોપી ઝડપાયા
ઉમરાળા પોલીસે ટીંબી ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડી, તેમના કબજામાંથી કુલ રૂ. 43,500ની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
ઉમરાળા પોલીસ સ્ટેશનમાં કરિયાવર ચોરી અંગે BNSની કલમ 305(એ), 331(3)(4) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉમરાળા પો.ઇન્સ. એચ.પી. બારડની સૂચનાથી પોલીસ સ્ટાફે ગુનાનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરી હતી.પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ટીંબી ગામના સોમલેશભાઈ બટુકભાઈ વાઘેલા (ઉ.વ.23) અને શંભુભાઈ અમરશીભાઈ દલસાણીયા (ઉ.વ.38) પર શંકા રાખી તેમની તપાસ કરી હતી.
પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ કબૂલ્યું હતું કે, ટીંબી ગામના કાનાભાઈ વાઘાભાઈ બામ્બા સુરત ગયા હતા તે દરમિયાન તેઓએ દિવાલ કૂદી રૂમનું લોક તોડી કરિયાવરનો સામાન ચોર્યો હતો.
પોલીસે પંચોની હાજરીમાં બંને આરોપીઓના ઘરની તપાસ કરતાં ચોરી કરાયેલો કરિયાવરનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીઓએ ચોરીની કબૂલાત કરતા પોલીસે ફરિયાદી પાસે મુદ્દામાલની ખરાઈ કરાવી તેને ગુનાના કામે કબજે લીધો હતો.
આરોપીઓની ધોરણસર ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.રિકવર થયેલા મુદ્દામાલમાં 175 લિટરનું ફ્રિજ (રૂ.9,500), સેમી ઓટોમેટિક વોશિંગ મશીન (રૂ.7,000), બે સોફા (રૂ.7,500), લોખંડનો કબાટ (રૂ.10,000) તથા એક શેટી અને ડનલોપનું ગાદલું (રૂ.9,500)નો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 43,500 છે.આ કાર્યવાહીમાં I/C પો.ઇન્સ. એચ.પી. બારડ, હેડ કોન્સ્ટેબલ જી.એન.નાવડીયા તથા પો.કોન્સ્ટેબલ એસ.એચ. ગોહિલ સહિતની પોલીસ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
















