Latest

રાધનપુર ભણસાલી કેન્દ્ર ખાતે પોલીસ વિભાગ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

રાધનપુર, એબીએનએસ, અનિલ રામાનુજ: માનવ સેવા અને સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાને સાકાર કરવાના હેતુથી રાધનપુર પોલીસ વિભાગ દ્વારા ભણસાલી કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર આર. બી. વાધિયાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રક્તદાન શિબિરમાં પોલીસ સ્ટાફ, ટ્રાફિક TRBના જવાનો તથા પોલીસ પરિવારના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.

રક્તદાન શિબિરમાં પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજની સાથે માનવસેવાના ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે પી.આઈ. આર. બી. વાધિયા, જલા ભાઈ આહીર, પોલીસ કર્મચારી વિનોદ ભાઈ સહિત પોલીસ સ્ટાફ, ટ્રાફિક TRBના જવાનો અને પોલીસ પરિવારના સભ્યોએ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાનરૂપ રક્ત ઉપલબ્ધ કરાવવાના સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા.

ભણસાલી કેન્દ્ર ખાતે યોજાયેલી આ શિબિરમાં રક્તદાનને લઈને પોલીસ સ્ટાફમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ સેવાકીય પ્રવૃત્તિથી સમાજમાં પણ રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર આર. બી. વાધિયાએ જણાવ્યું હતું કે, “પોલીસની ફરજ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી સીમિત નથી. જરૂરિયાતમંદ નાગરિકોના જીવન રક્ષણ માટે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી થવું પણ આપણી જવાબદારી છે. રક્તદાન મહાદાન છે અને આપણા દ્વારા આપવામાં આવેલું રક્ત કોઈ દર્દી માટે જીવનદાન બની શકે છે.”

રક્તની અછતના કારણે અનેક વખત દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આવા સંજોગોમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરો મહત્વપૂર્ણ બની રહે છે. પોલીસ સ્ટાફ અને TRB જવાનો દ્વારા કરવામાં આવેલા રક્તદાનથી અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રેરણા મળે તેવો માનવતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

રાધનપુર ભણસાલી કેન્દ્ર ખાતે યોજાયેલી આ રક્તદાન શિબિર દરમિયાન પોલીસ વિભાગના કર્મચારીઓમાં સેવાભાવ અને સામાજિક જવાબદારીની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી. પોલીસની સેવા, સુરક્ષા અને શાંતિ’ ની કામગીરી સાથે માનવસેવાનો સંદેશ પણ આ કાર્યક્રમ થકી લોકો સુધી પહોંચ્યો હતો.

પોલીસ વિભાગ દ્વારા યોજાયેલી આ સરાહનીય પહેલને સ્થાનિક નાગરિકો અને અગ્રણીઓ દ્વારા આવકારવામાં આવી હતી. રક્તદાન કરી પોલીસ કર્મચારીઓએ સમાજ સમક્ષ માનવતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 141

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *