સરપ્રાઈઝ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રીએ સ્વચ્છતા, સુદૃઢ આરોગ્ય વ્યવસ્થા, દવાઓ, સ્ટાફ અને પાયાની સુવિધાઓનું સ્થળ પર નિરીક્ષણ કર્યું
સ્વચ્છતા, વ્યવસ્થા અને શિસ્તબદ્ધ કામગીરીથી પ્રભાવિત થઈ આરોગ્ય કર્મીઓ અને સફાઈ કર્મયોગીઓને સાલ ઓઢાડી સન્માન કરતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
તમામ CHC અને PHC કેન્દ્રોમાં સ્વચ્છતા, સુદૃઢ વ્યવસ્થા અને શિસ્તબદ્ધ કામગીરી સાથે શ્રેષ્ઠ આરોગ્ય સેવા જોવા મળે તેવી અપેક્ષાઃ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
ચીખલી, તા. 19 સપ્ટેમ્બર, 2026
આદરણીય લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત, સુલભ અને સંવેદનશીલ આરોગ્ય સેવાઓ પહોંચાડવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આ અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ આજે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈ આરોગ્ય વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.
મંત્રીએ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને મળતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા, તબીબી સાધનો, સ્ટાફની કામગીરી તેમજ ઓપીડી, દવા વિતરણ, સ્વચ્છતા, પીવાના પાણી અને દર્દીઓ માટેની પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તબીબો, નર્સિંગ સ્ટાફ, આરોગ્ય કર્મીઓ અને અન્ય કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમની કામગીરી અંગે પણ માહિતી મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં જોવા મળેલી સ્વચ્છતા, સુદૃઢ વ્યવસ્થા અને શિસ્તબદ્ધ કામગીરીથી પ્રભાવિત થઈ આરોગ્ય મંત્રીશ્રીએ ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ તથા સફાઈ કર્મયોગીઓને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ સામાન્ય નાગરિક માટે આરોગ્ય વ્યવસ્થાનું પ્રથમ મહત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીં સ્વચ્છતા, શિસ્ત, વ્યવસ્થા અને દર્દી પ્રત્યે સંવેદનશીલતા જાળવવી ગુણવત્તાયુક્ત સારવાર જેટલી જ જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે, આલીપોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોવા મળેલી સ્વચ્છતા, સુદૃઢ વ્યવસ્થા અને શિસ્તબદ્ધ કામગીરી અન્ય CHC અને PHC કેન્દ્રો માટે પણ અનુસરવા જેવી છે. રાજ્યના તમામ CHC અને PHC કેન્દ્રોમાં આવી જ સ્વચ્છતા, વ્યવસ્થિત કામગીરી અને ડીસીપ્લીન સાથે દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવી અપેક્ષા છે.
આરોગ્ય મંત્રીશ્રીએ અધિકારીઓ અને કર્મચારીઓને દર્દીઓ સાથે સંવેદનશીલ વ્યવહાર રાખવા તેમજ આરોગ્ય સેવાઓમાં કોઈપણ ક્ષતિ જણાય તો તેનું સમયસર નિરાકરણ લાવવા સૂચના આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, આવી ઓચિંતી મુલાકાતોનો હેતુ માત્ર નિરીક્ષણ કરવાનો નહીં, પરંતુ સારી કામગીરીને પ્રોત્સાહન આપવાનો અને જ્યાં સુધારાની જરૂરિયાત હોય ત્યાં તાત્કાલિક સુધારો સુનિશ્ચિત કરવાનો છે.
















