રોજ 100થી વધુ OPD છતાં MBBS તબીબ ઉપલબ્ધ નહીં હોવાનો આક્ષેપ; વાયરલ તાવ-શરદીના કેસો વચ્ચે લેબોરેટરી સેવા ખોરવાતા દર્દીઓ પરેશાન
ઉમરાળા તાલુકાના રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં છેલ્લા બે મહિનાથી બંધ પડેલું CBC મશીન મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રિપેર કરાવી ફરી કાર્યરત કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. પરિણામે CBC તપાસ માટે મુશ્કેલીનો સામનો કરી રહેલા દર્દીઓને હવે PHC ખાતે જ તપાસની સુવિધા મળતી થઈ છે.
ઉમરાળા તાલુકામાં હાલ વાયરલ તાવ, શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો હોવાના કારણે આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રંઘોળા PHCમાં દરરોજ 100થી વધુ દર્દીઓની OPD નોંધાઈ રહી છે. તેમ છતાં PHCમાં હાલ MBBS તબીબ પણ ઉપલબ્ધ ન હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.
CBC તપાસ દર્દીઓના પ્રાથમિક નિદાન માટે મહત્વપૂર્ણ ગણાય છે. ત્યારે મશીન લાંબા સમયથી બંધ રહેતા દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં તપાસ કરાવવા જવાની ફરજ પડતી હતી. આ દરમિયાન ખાનગી લેબોરેટરીમાં દર્દીઓ પાસેથી મનસ્વી રીતે વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાની ફરિયાદો પણ સ્થાનિક સ્તરે ઉઠી હતી.
મીડિયાના અહેવાલ બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું અને CBC મશીનનું તાત્કાલિક રિપેરિંગ કરાવી સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે. જોકે, રોજની મોટી OPD સામે તબીબોની ઉપલબ્ધતા અને આરોગ્ય કેન્દ્રમાં જરૂરી સ્ટાફ સહિતની અન્ય સુવિધાઓ અંગે હજુ પણ પ્રશ્નો યથાવત્ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
સ્થાનિક સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આરોગ્ય તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રંઘોળા PHCની તબીબો અને અન્ય જરૂરી સુવિધાઓની સમસ્યાઓ અંગે તાત્કાલિક ધ્યાન આપે અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને પૂરતી આરોગ્ય સેવા મળે તેવી માંગ ઉઠી રહી છે.
રિપોર્ટ : નિલેષ ઢીલા, ઉમરાળા
















