Ahmedabad

કારગીલ વિજયની રજત જયંતિ પર ભારતીય સેના દ્વારા મોટરસાઇકલ રેલીનું કરાયું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: કારગિલ વિજયની 25મી વર્ષગાંઠની સ્મૃતિમાં તેમજ કારગિલ યુદ્ધના નાયકોના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભારતીય સેના અને રેજિમેન્ટ ઓફ આર્ટિલરી દ્વારા એક મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

રેજિમેન્ટ ઓફ આર્ટિલરીએ ‘ઓપરેશન વિજય’ની સફળતામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી અને આ રેલી તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન પર પ્રકાશ પાડે છે તેમજ આપણા બહાદુર સૈનિકોના વારસાને સન્માન આપે છે.

12 જૂન, 2024ના રોજ, આઠ મોટરસાઇકલની ત્રણ ટીમોએ દેશના અલગ અલગ ખૂણેથી આ ઐતિહાસિક પ્રવાસનો પ્રારંભ કર્યો હતો જેમાં – આસામમાં દિનજન, ગુજરાતના દ્વારકા અને તમિલનાડુમાં ધનુષકોડીથી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ સમર્પિત મોટરસાઇકલ સવારો આપણા સશસ્ત્ર દળોની એકતા અને અનુકૂલનતાના પ્રતીક તરીકે વિવિધ પ્રદેશોમાંથી, હવામાનમાં અને પડકારજનક માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે. ત્રણેય ટીમો બે અલગ-અલગ ઉત્તરીય મુખ્ય માર્ગો એટલે કે શ્રીનગર અને મનાલી થઈને દ્રાસ જવા માટે દિલ્હીમાં ભેગા થશે.

આ સવારી છેવટે દ્રાસમાં ગન હિલ ખાતે તેના મુકામ પર પહોંચશે. કારગિલ યુદ્ધ દરમિયાન બંદૂકધારીઓના અપાર શૌર્યથી આ સ્થળ ઈતિહાસમાં આલેખિત થયેલું છે.

લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) મહિપતસિંહજી, PVSM અને કમાન્ડર 11 આર્ટિલરી બ્રિગેડ, બ્રિગેડિયર યોગેન્દ્ર ચૌધરી દ્વારા ઐતિહાસિક શહેર દ્વારકામાં સનસેટ પોઇન્ટ ખાતેથી પશ્ચિમી ટૂકડીને ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા એ ગુજરાતની પ્રથમ રાજધાની હોવાનું માનવામાં આવે છે, જે તેના પ્રાચીન મંદિરો અને આધ્યાત્મિક મહત્વ માટે જાણીતું શહેર છે.

આ શહેર અદ્ભુત પ્રવાસ માટે યોગ્ય પ્રારંભ સ્થળ તરીકે પણ સેવા આપે છે. જેવી મોટરસાયકલોના કાફલાએ ગર્જના સાથે શરૂઆત કરી, ત્યારે કારગીલ યુદ્ધના નિવૃત્ત સૈનિકો અને ભૂતપૂર્વ સૈનિકો સહિત ઉત્સાહી લોકોએ દેશભક્તિના રંગ સાથે તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ રેલી ધ્રાંગધ્રા તરફ આગળ વધશે અને સમગ્ર માર્ગમાં રાષ્ટ્રીય ગૌરવ તેમજ અનુકૂલતાનો સંદેશ ફેલાવશે.

તમામ રોકાણ સ્થળો પર ફ્લેગ-ઇન અને ફ્લેગ-ઓફ કાર્યક્રમોમાં વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિત રહેશે જેઓ મોટરસાઇકલ સવારો અને તેઓ જે ઉદ્દેશ સાથે નીકળ્યા છે તેનું સન્માન કરશે.

આ રેલીમાં મોટરસાઇકલ પ્રવાસ ઉપરાંત, કારગીલ યુદ્ધની વીર માતાઓ/વીર નારીઓ (યુદ્ધમાં વિધવા થયેલી નારીઓ) અને યુદ્ધના નિવૃત્ત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમના બલિદાન અને અતૂટ સમર્થનને બિરદાવવામાં આવ્યા હતા.

ભારતીય સેનાના વરિષ્ઠ સૈનિકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમના યોગદાનને સ્વીકારીને તેમનો વારસો ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવામાં આવે તેવું પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.

ડેલ્ટા 5 મોટરસાઇકલ રેલીનો ઉદ્દેશ કારગિલ યુદ્ધ દરમિયાન બંદૂકધારીઓ દ્વારા નિભાવવામાં આવેલી નિર્ણાયક ભૂમિકાને લોકો સમક્ષ રજૂ કરવાનો છે. આર્ટિલરીની ચોકસાઈ, ફાયરપાવર અને વ્યૂહાત્મક સમર્થને તમામ સંજોગોને ભારતીય દળોની તરફેણમાં ફેરવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

આ રેલી માત્ર ઐતિહાસિક વિજયની યાદ પૂરતી જ નથી પરંતુ આના દ્વારા રેજિમેન્ટ ઓફ આર્ટિલરીના નોંધપાત્ર યોગદાન વિશે લોકોને શિક્ષિત કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. જેમ જેમ મોટરસાઇકલ સવારો દેશની એક છેડેથી બીજા છેડા સુધી આગળ વધી રહ્યા છે, તેમ તેઓ તેમની સાથે હિંમત, બલિદાન અને દેશભક્તિની ગાથા લઈ જઈ રહ્યા છે.

તેમની સવારી માત્ર શ્રદ્ધાંજલિ પૂરતી જ નથી પરંતુ ભારતીય સેનાની શાશ્વત ભાવનાનું પ્રતીક પણ છે અને તેનાથી યુવાનોમાં દેશભક્તિની ભાવનાને ઉત્તેજન મળશે.

દેશભક્તિના ઉત્સાહમાં ઓતપ્રોત થયેલી સંખ્યાબંધ શિક્ષણ સંસ્થાઓના 50 વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ, સ્થાનિક લોકો, નાગરિક વહીવટીતંત્રએ પણ યુદ્ધના નાયકોને આદર અને ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિના પ્રતિક તરીકે મોટરસાઇકલ સવારોની ટીમ સાથે જોડાઈને તેમાં ભાગ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજયમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી…

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *