
જીવદયા પ્રેમીઓ દ્વારા સેવાભાવી મંડળો, સંસ્થાઓના સહયોગથી ઘઉંનો લોટ ગોળ ઘી મિશ્રિત કરી ૫૫૦ મણ કીડીયારું બનાવ્યું

સવાસોથી વધુ ગામના સીમ વગડા અને પર્વત માળામાં કીડીયારું પુરવામાં આવ્યું
ભાવનગર તા.૮/૪/૨૦૨૬
ભાવનગરમાં ચૈત્ર માસના પાવન અવસરે વિવિધ સેવાભાવી મંડળો અને જીવદયા પ્રેમીઓ દ્વારા ‘કીડીયારું સેવા અભિયાન’ મોટા પાયે હાથ ધરવામાં આવ્યું છે, જે માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.

આ અભિયાનમાં પ્રેરણા ફાઉન્ડેશન સાથે મહાદેવ મિત્ર ગ્રૂપ, સરિતા સોસાયટી મહિલા મંડળ, વિજયરાજનગર મહિલા મંડળ, માનસ સનાતન સુંદર કાંડ પરિવાર (સરિતા સોસાયટી), હીરા ઉદ્યોગ સહિતના વેપારીઓ તેમજ અનેક દાતાશ્રીઓએ તન-મન-ધનથી સહભાગિતા નોંધાવી છે.

આ સેવાભાવી પ્રયાસોથી ઘઉં, ગોળ અને ઘી મિશ્રણ કરી અંદાજે ૫૫૦ મણથી વધુ (લગભગ ૧૧,૦૦૦ કિલો) કીડીયારું તૈયાર કરવામાં આવ્યું છે. માત્ર તૈયાર કરવામાં જ નહીં, પરંતુ આ કીડીયારું ભાવનગર જિલ્લાના આશરે ૧૨૦ ગામોના સીમ-વગડા, ઝાડીઓ અને ડુંગર માળાઓમાં જઈને નાના જીવજંતુઓ માટે અર્પણ કરવામાં આવી રહ્યું છે, જે ખરેખર પ્રેરણાદાયી સેવા બની છે.

આ અભિયાનમાં બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત સમાજના દરેક વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા છે. છેલ્લા ૨૦ દિવસથી સતત ચાલી રહેલી આ સેવા માનવતાની જીવંત મિસાલ બની છે.

જીવદયાપ્રેમી અને અગ્રણી ગણેશભાઈ પટેલ (ચમારડી) એ જણાવ્યું હતું કે, વિશેષ કરીને વિજયરાજનગર અને સરિતા સોસાયટીના જીવદયા પ્રેમી ભાઈ-બહેનો દ્વારા આ કામગીરીમાં તન મન ધન થી નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે.

અબોલ જીવો માટે રાત દિવસ તદ્દન વિનામૂલ્યે સેવા કરતા પ્રેરણા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પ્રેમ કંડોલિયાએ ભાવનગરિઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, આવા સેવાભાવી પ્રયાસો સમાજમાં કરુણા, સહાનુભૂતિ અને જીવદયા જેવા મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે અને સૌને પ્રેરણા આપે છે.
















