વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું
ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬
વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા ભાવનગરના ૩૦૪માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત આયોજિત ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ આજે ભાવનગર શહેરમાં ભવ્યતા અને ઉત્સાહ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
શહેરના રેલવે સ્ટેશન ખાતે સવારે ૧૧ કલાકે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, સમાજના આગેવાનો તેમજ મહિલાઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાવનગર નું એક માત્ર રેલવેસ્ટેશન કે જ્યાં મહિલા કુલી કામ કરી રહી છે જેની સાથો સાથ પેરા ઓલમ્પિક અને નેશનલ લેવલની રમતો મા વિજેતા થયેલા મહિલાઓના યોગદાનને સન્માનિત કરવાનો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ગૌરવમય બની ગયું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા નારી શક્તિના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો અને મહિલાઓના સશક્તિકરણ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
આ કાર્યક્રમનું સંચાલન વિદ્યા વિહાર કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ધર્મિષ્ઠાબેન દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ કાર્યકરો અને ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ અંતે સૌએ નારી સન્માન અને સમાનતાના સંદેશને આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર આયોજન ભાવનગર શહેર માટે એક પ્રેરણાદાયી અને યાદગાર ક્ષણ બની રહ્યું હતું.
















