અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે. પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર વ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની કુલ ૨૯ સમિતિઓ બનાવવામાં આવી છે.
અંબાજી ખાતે કલેક્ટર મિહિર પટેલ દ્વારા આદ્યશક્તિની આરાધના કરી પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો હતો. પ્રસાદ ઘરની સ્વચ્છતા તથા સલામતી સહિત સુચારુ આયોજન સંદર્ભે કલેકટર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા. પ્રસાદ વ્યવસ્થા સમિતિ માટે જિલ્લા પુરવઠા અધિકારીની નોડલ તરીકે નિમણૂક કરાઈ છે. જેમાં મોહનથાળ, ચિક્કીની પ્રસાદનું યોગ્ય રીતે સુપરવિઝન અને વિતરણની વ્યવસ્થા કરાશે.
શકિતપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે. અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે કલેકટર મિહિર પટેલ દ્વારા સૂચન કરાયું હતું.
અંબાજી ખાતે બનાવવામાં આવતી પ્રસાદના એક ઘાણમાં ૩૨૬.૫ કી.ગ્રા.પ્રસાદ બનતો હોય છે. એક ઘાણમાં બેસન ૧૦૦ કી.ગ્રા, ખાંડ ૧૫૦ કી.ગ્રા, ઘી ૭૬.૫ કી.ગ્રા અને ઈલાયચી ૨૦૦ ગ્રામ એમ કુલ ૩૨૬.૭ કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવશે.
ભાદરવી પૂનમ મહા મેળામાં મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી. મેળા દરમિયાન કુલ ૧૦૦૦ ઘાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. સમગ્ર મેળા દરમિયાન ૩૦ લાખથી વધુ પ્રસાદના પેકેટ બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરાઈ છે. પ્રસાદ ઘરમાં કુલ ૭૫૦ જેટલા કારીગરો કામમાં રોકાયેલા છે.
મેળા દરમ્યાન યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે મંદિર પરિસર તેમજ અલગ અલગ જગ્યાએ કુલ – ૨૭ જેટલા પ્રસાદ વેચાણ કેન્દ્રો ઊભા કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.
પ્રસાદ ઘર શુભારંભ પ્રસંગે અધિક કલેક્ટર અને અંબાજી મંદિર વહીવટદાર કૌશિક મોદી, જિલ્લા પુરવઠા અધિકારી કે.કે.ચૌધરી સહિત સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.