અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંધી સમાજના ભાઈઓ- બહેનોને ચેટીચંડના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ પાઠવી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચેટીચંડ મહોત્સવ સમિતિ દ્વારા નરોડા પાટિયા ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ચેટીચંડ દરિયાદેવની આરાધનાનો પવિત્ર તહેવાર છે અને આ સાથે આજે ચૈત્રી નવરાત્રીની ઉપાસનાનો પણ પાવન અવસર છે.
તેમણે કહ્યું કે સિંધી સમાજ સાહસ, પરિશ્રમ અને પુરુષાર્થ માટે ઓળખાય છે અને આ સમાજે વેપાર-વાણિજ્ય સહિત અનેક ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવ્યો છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે સિંધમાંથી આવી ગુજરાતને પોતાની માતૃભૂમિ અને કર્મભૂમિ બનાવનાર સિંધી સમાજે પોતાની ભાષા અને ઓળખ જાળવી રાખતા ગુજરાતની સંસ્કૃતિમાં દૂધમાં સાકરની જેમ ભળી જઈ રાજ્યના વિકાસમાં સક્રિય યોગદાન આપ્યું છે.
સમાજની આ ભાવના “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના મંત્રને સાકાર કરે છે. તેમણે ઉમેર્યું કે નવી પેઢી પોતાની પરંપરા અને વિરાસત સાથે જોડાય તે માટે આવા ધાર્મિક અને સામૂહિક આયોજન મહત્વપૂર્ણ છે.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા “કેચ ધ રેઈન”, “એક પેડ મા કે નામ” અને “સ્વચ્છ ભારત” જેવા અભિયાનોમાં સિંધી સમાજ સક્રિય સહભાગી બને તેવી અપીલ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. પાયલબેન કુકરાનીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે સિંધી સમાજે પોતાના વતન સિંધને છોડીને ભારતને પોતાનું ઘર બનાવ્યું અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, , સાંસદ દિનેશભાઇ મકવાણા અને હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીમતી કંચનબેન રાદડિયા, પૂર્વ મંત્રી માયાબેન કોડનાણી, પૂર્વ ધારાસભ્ય નિર્મલાબેન વાધવાની, સિંધી સમાજના સંતો- મહંતો અને ભાઈ- બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
















