છત્રાલ ગામના યુવાને ગીતા જ્ઞાનના પ્રચારમાં આપેલા યોગદાન બદલ રાજ્યસ્તરે ગૌરવપૂર્ણ સન્માન
ગાંધીનગર, સંજીવ રાજપૂત એબીએનએસ: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના છત્રાલ ગામના રહેવાસી અને યુવાન પ્રતિભા ગીતાભૂષણ જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:) ને શ્રીમદ્ ભગવદ્ ગીતા ના પવિત્ર જ્ઞાનના પ્રસાર, પ્રચાર અને સંસ્કાર નિર્માણમાં આપેલા તેમના નોંધપાત્ર યોગદાન બદલ રાજભવન ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય અને ગૌરવસભર સમારંભમાં “ગીતાભૂષણ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
આ વિશિષ્ટ સમારંભમાં રાજ્યપાલની અસ્વસ્થતાને કારણે તેમના સ્થાને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. સમારંભ દરમિયાન રાજ્યના વિવિધ પ્રતિષ્ઠિત મહાનુભાવો, ધાર્મિક આગેવાનો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સન્માન કાર્યક્રમ ગૌરવપૂર્ણ રીતે યોજાયો હતો.
ગીતાભૂષણ જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:) નાની વયથી જ ગીતા પ્રત્યે અખંડ શ્રદ્ધા, નિષ્ઠા અને સમર્પણ ધરાવે છે. માત્ર 13 વર્ષની અલ્પ વયે તેમણે સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠસ્થ કરી એક અનોખી અને પ્રેરણાદાયક સિદ્ધિ હાંસલ કરી હતી, જેના પરિણામે તેઓ અગાઉ પણ વિવિધ અખબારો અને માધ્યમોમાં સ્થાન પામી ચૂક્યા છે. તેમની આ વિશિષ્ટ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.
હાલ તેઓ ગીતા જ્ઞાનને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા માટે સતત કથાઓ, પ્રવચનો, સત્સંગ કાર્યક્રમો અને ધાર્મિક આયોજનો દ્વારા સક્રિય સેવાઓ આપી રહ્યા છે. તેમની વાણીમાં આધ્યાત્મિક ઊંડાણ, સરળતા અને જીવનમાં ઉતારવા યોગ્ય સંદેશાઓ હોય છે, જેના કારણે તેઓ ઓછા સમયમાં જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યા છે.
ગીતા ના મૂલ્યોને આધુનિક જીવન સાથે જોડવાનો તેમનો પ્રયત્ન સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.
આ સન્માન પ્રસંગે ગીતાભૂષણ જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:) એ વિનમ્રતા પૂર્વક જણાવ્યું હતું કે, આ સિદ્ધિ તેમના વ્યક્તિગત પ્રયત્નોનું પરિણામ નથી, પરંતુ ભગવાન ઠાકોરજીની અનંત કૃપા, ગુરુહરિના આશીર્વાદ અને માતા-પિતા તેમજ પરિવારજનોના સહયોગનું ફળ છે. તેમણે આગળ પણ ગીતા જ્ઞાનના પ્રસાર માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ ગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત થતાં તેમના પરિવારજનો, મિત્રમંડળ તેમજ સમગ્ર છત્રાલ ગામ અને આસપાસના વિસ્તારોમાં આનંદ અને ગર્વની લાગણી વ્યાપી ગઈ છે. ગ્રામજનો તથા સમાજના આગેવાનો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમની આ સિદ્ધિને સમગ્ર વિસ્તાર માટે ગૌરવની વાત ગણાવવામાં આવી હતી.
















