Latest

સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા

વૈશાખ સુદ તેરસે જ લગ્નની પરંપરા: 1600 વર્ષ જૂની સંસ્કૃતિ આજે પણ અકબંધ

રાધનપુર. એબીએનએસ. અનિલ રામાનુજ : પાટણ જિલ્લામાં સાંતલપુર અને કચ્છના રણના છેવાડે આવેલા ચોરાડ પંથકમાં આહીર સમાજની અદ્વિતીય અને ઐતિહાસિક પરંપરાનો જીવંત નજારો જોવા મળ્યો હતો.

વૈશાખ સુદ તેરસના પાવન દિવસે એક સાથે 48 ગામોના આહીર સમાજ દ્વારા 600થી વધુ સામૂહિક લગ્ન યોજાતા સમગ્ર વિસ્તાર ઢોલ-નગારા અને આનંદના માહોલથી ગૂંજી ઉઠ્યો હતો. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા માત્ર એક સામાજિક પ્રસંગ નથી, પરંતુ આહીર સમાજની સંસ્કૃતિ, એકતા અને ઓળખનું પ્રતિક બની છે.

આ પરંપરાની વિશેષતા એ છે કે આખા વર્ષ દરમિયાન અન્ય કોઈ મુહૂર્ત કે ચોઘડિયું જોવામાં આવતું નથી. માત્ર વૈશાખ સુદ તેરસના દિવસે જ તમામ લગ્ન યોજાય છે. આ દિવસે સમાજના ગરીબ કે ધનિક, અધિકારી કે સામાન્ય વ્યક્તિ – તમામને એકસરખી પરંપરાગત વેશભૂષા ધારણ કરવાની ફરજિયાત રીત છે. વરરાજા પરંપરાગત વાઘા પહેરી, દેશી ઢોલના તાલે અને બળદગાડામાં જાન લઈ કન્યાના ઘરે પહોંચે છે, જે દ્રશ્ય સમગ્ર પરંપરાને જીવંત બનાવી દે છે.

આહિર સમાજની આ અનોખી પરંપરાનો ઉદ્ભવ આશરે 1600 વર્ષ પહેલાંનો માનવામાં આવે છે. માન્યતા મુજબ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણે રુક્મિણી સાથે વૈશાખ સુદ તેરસના દિવસે સાત્વિક રીતે લગ્ન કર્યા હતા. ગર્ગાચાર્ય દ્વારા વર્ણવાયેલા આ પ્રસંગને આધારે આહિર સમાજે એ જ દિવસ, એ જ પહેરવેશ અને એ જ સાદગીભર્યા માહોલમાં લગ્ન કરવાની પરંપરા શરૂ કરી હતી, જે આજે પણ યથાવત્ જાળવવામાં આવી રહી છે.

લગ્નવિધિની પ્રક્રિયા પણ અત્યંત અનોખી અને શિસ્તબદ્ધ છે. સાંજે લગભગ 5 વાગ્યે વરરાજાની જાન કન્યાના ઘરે પહોંચે છે. ત્યાં રોકાણ કર્યા બાદ રાત્રે વિધિપૂર્વક ચાર ફેરા ફરાવવામાં આવે છે અને વહેલી સવારે કન્યાની વિદાય કરવામાં આવે છે. સમગ્ર વિધિમાં સાદગી, સંસ્કાર અને સામૂહિક ભાવનાનો અદભૂત સમન્વય જોવા મળે છે.આ સામૂહિક લગ્ન પ્રથા માત્ર ખર્ચ બચાવવાનો ઉપાય નથી, પરંતુ સમાજમાં સમાનતા અને એકતાનો સંદેશ આપે છે.

આજના આધુનિક સમયમાં પણ આહિર સમાજ દ્વારા આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવી એ ખરેખર ગૌરવની બાબત છે. સાંતલપુર અને ચોરાડ પંથકમાં ઉજવાતા આ લગ્નોત્સવે ફરી એકવાર સાબિત કર્યું છે કે સાચી સંસ્કૃતિ એ સાદગી, સંસ્કાર અને એકતામાં જ વસે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 629

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *