ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય તટરક્ષક દળ (ICG)ની રાષ્ટ્રને પાંચ દાયકાઓની સમર્પિત અને પ્રસંસનીય સેવાની ગૌરવપૂર્ણ સ્વીકૃતી અને તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિતે ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે આવેલા ચ-4B સર્કલને “ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતી સર્કલ” તરીકે નામાભિધાન કર્યુ છે,
જે રાષ્ટ્રપ્રત્યે દળની દ્રઢ કટિબદ્ધતા અને સમર્પિતતાની સાક્ષી પુરી પાડે છે. આ સર્કલનું ઉદઘાટન ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય કોસ્ટ ગાર્ડ ક્ષેત્ર (ઉત્તર પૂર્વ)ના કમાન્ડર ઇસ્પેક્ટર જનરલ ટેકુર સશી કુમાર, રાજ્યના મહાનુભાવો, ભારતીય તટરક્ષક દળના નિવૃત્ત સૈનિકો અને ભારતીય તટરક્ષક દળના નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહીને ભારતીય તટરક્ષક દળ અને ગુજરાત રાજ્ય વચ્ચેના મજબૂત સંબંધોના સિમાચિહ્નરૂપ ઘટનાના સાક્ષી બન્યાં હતાં. આ સમગ્ર ભારતમાં ભારતીય તટરક્ષક દળને સમર્પિત કરવામાં આવેલું સૌ પ્રથમ સર્કલ છે.
“ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતિ સર્કલ”ની રચના ભારતીય તટરક્ષકની બહુપક્ષીય કામગીરી ક્ષમતાઓ અને કાયમી ભાવનાના પ્રતીકને રજૂ કરવા માટે વિચારપૂર્વક કરવામાં આવી છે અને તેને સાકાર કરવામાં આવ્યું છે. આ સર્કલ મુખ્યત્વે ICG ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) દર્શાવે છે, જે ગુજરાતના સમુદ્રકાંઠા અને દરિયાઇ સરહદોના નિવારણ, સમુદ્રી ક્ષેત્રમાં પ્રભુત્વ અને રક્ષણનું પ્રતીક છે. તેમાં એક ડોર્નિયર એરક્રાફ્ટ અને એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) બતાવવામાં આવ્યું છે, જે ICG ઉડ્ડયન પાંખની ઝડપી પ્રતિભાવ ક્ષમતા, હવાઇ દેખરેખ કૌશલ્ય અને સમુદ્રી પહોંચ બતાવે છે, જેમાં ICG કર્મચારીઓની પ્રતિમાઓ આ દળની શાશ્વત સતર્કતા અને સમર્પણ રજૂ કરે છે.
આ ઉપરાંત, સ્થળ પર એક ડિજિટલ દિવાલ પણ તૈયાર કરવામાં આવી છે, જેના પર નિરંતર ICGની પ્રવૃત્તિઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ સર્કલ પર ICG અસ્કયામતોનું ભવ્ય પ્રદર્શન લોકોમાં આ સેવા વિશેની જાગૃતિને પ્રોત્સાહન આપવા ઉપરાંત નાગરિકોમાં એવું પણ સુનિશ્ચિત કરશે કે ભારતીય તટરક્ષક સમુદ્રમાં 24×7×365 ધોરણે હંમેશા સતર્ક રહીને સહેજ પણ વિરામ લીધા વગરક રાષ્ટ્રના દરિયાઈ હિતોનું રક્ષણ કરે છે.
આ ઉદ્ઘાટન એક સમાવેશી અભિગમ અને ભારતની દરિયાઇ સરહદોનું રક્ષણ કરવા માટેની અથાક કામગીરી કરતા ગણવેશધારી દળની સેવાને સ્વીકૃતિ આપવા પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
ગોળાકાર અરેના પ્રેરણા અને જનજાગૃતિના સદાકાળ સ્રોતની ભાવના દર્શાવશે, જે રાષ્ટ્ર નિર્માણ, દરિયાકાંઠાની સુરક્ષા, પર્યાવરણીય સંરક્ષણ અને માનવતાવાદી સહાયમાં ભારતીય તટરક્ષકના મહત્વપૂર્ણ યોગદાન પર પ્રકાશ પાડે છે, નાગરિકોમાં ગૌરવની ઊંડી ભાવનાને પ્રોત્સાહન આપે છે.
















