Latest

પોરબંદરમાં મેડિકલ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો

વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદારીનું આહ્વાન કર્યું

૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યુવાશક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ.: ડૉ મનસુખ માંડવિયા

પોરબંદર, તા. ૧૩ : કેન્દ્રીય શ્રમ, રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી  મનસુખભાઈ માંડવીયા એ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, પોરબંદર ખાતે આયોજિત ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ તકે વન અને પર્યાવરણ વિભાગના મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

વિદ્યાર્થીઓને સંબોધતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા પેઇન્ટિંગ્સમાં એવિએશન, એસ્ટ્રોનોમી, સામાજિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ જેવા ક્ષેત્રોમાં વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતનું સ્વપ્ન સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમણે યુવાશક્તિના ઉત્સાહ, દીર્ઘદ્રષ્ટિ અને સર્જનાત્મકતાની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાનના ‘અમૃતકાળ’ના  સંકલ્પનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આગામી ૨૫ વર્ષ દેશના વિકાસ માટે નિર્ણાયક સાબિત થશે. વિકસિત ભારતના નિર્માણ માટે દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે પારદર્શકઅને સમાન અધિકારો ધરાવતા સમાજના નિર્માણ માટે જનભાગીદારીને અનિવાર્ય ગણાવી હતી.

કાર્યક્રમ દરમિયાન ડૉ. માંડવિયાએ પોરબંદર-મુંબઈ હવાઈ સેવા ટૂંક સમયમાં ફરી શરૂ થવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે એવિએશન મંત્રાલય સાથેની સફળ ચર્ચા બાદ આગામી ૨૫મી તારીખથી અમદાવાદ-પોરબંદર-મુંબઈ હવાઈ સેવા શરૂ કરવામાં આવશે.

ભારતીય સંસ્કૃતિ, વારસો અને વૈજ્ઞાનિક સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે દેશ ગુલામીની માનસિકતામાંથી બહાર આવી આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યો છે. નવી સંસદ, કર્તવ્યપથ, નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા તથા માતૃભાષાના સન્માન જેવા નિર્ણયો તેની સાબિતી છે. તેમણે ધોળાવીરા, સોમનાથના બાણસ્તંભ, પ્રાચીન જળસંચય પદ્ધતિઓ અને ભારતીય સ્થાપત્ય કળાના ઉદાહરણો આપતાં યુવાનોને પોતાના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને સમજવા અપીલ કરી હતી.

વધુમાં, તેમણે કોવિડ-૧૯ મહામારી દરમિયાન ભારતે દર્શાવેલી વૈજ્ઞાનિક ક્ષમતા અને આરોગ્ય ક્ષેત્રની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ભારતીય વૈજ્ઞાનિકો, આરોગ્યકર્મીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ નેતૃત્વના કારણે ભારતે ટૂંકા ગાળામાં સ્વદેશી રસી વિકસાવી વિશ્વ સમક્ષ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. આ દિશામાં સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘માય ભારત’ ડિજિટલ પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં ૨.૨૦ કરોડથી વધુ યુવાનો જોડાયા છે. કરિયર માર્ગદર્શન, સ્વયંસેવી પ્રવૃત્તિઓ, સામાજિક સેવા અને મેન્ટરશિપ જેવી સુવિધાઓ દ્વારા યુવાનોને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવા તથા ભવિષ્યના એક લાખ યુવા નેતાઓ તૈયાર કરવાનો સરકારનો સંકલ્પ હોવાનું તેમણે જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના યુવાનોના વિચારો સીધા વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે આગામી ઓગસ્ટ મહિનાથી ‘વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ’ અંતર્ગત વિશેષ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાના આધારે પસંદ કરાયેલા યુવાનોને મહિલા સશક્તિકરણ, પર્યાવરણ, ડિજિટલ ટેક્નોલોજી અને અંતરિક્ષ ક્ષેત્ર જેવા વિવિધ વિષયો પર બ્લોગ અને પ્રેઝન્ટેશન રજૂ કરવાની તક મળશે. આ પ્રક્રિયામાંથી શ્રેષ્ઠ ૩,૦૦૦ યુવાનોને દિલ્હી ખાતે ભારત મંડપમમાં વડાપ્રધાન સાથે સીધો સંવાદ કરવાનો તથા વિકસિત ભારત @૨૦૪૭ માટે પોતાના નવતર વિચારો રજૂ કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થશે.

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ગુજરાત સરકારની વિકાસલક્ષી નીતિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અમદાવાદ અને અન્ય મહાનગરોની સમકક્ષ આધુનિક તબીબી સુવિધાઓ હવે રાજકોટ, ભાવનગર અને પોરબંદર જેવા પ્રાદેશિક કેન્દ્રોમાં પણ ઉપલબ્ધ બની રહી છે.

કોરોના કાળના પડકારજનક સમયને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે તત્કાલીન આરોગ્ય મંત્રી તરીકે ડૉ. મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ ભારતીય વૈજ્ઞાનિકોએ રેકોર્ડ સમયમાં સ્વદેશી વેક્સિન વિકસાવી હતી. ભારતે ૧૪૦ કરોડથી વધુ નાગરિકોને નિઃશુલ્ક રસી પૂરી પાડવાની સાથે વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં વેક્સિન પહોંચાડીને વૈશ્વિક સ્તરે ‘વેક્સિન હબ’ તરીકે આગવી ઓળખ ઉભી કરી છે. અને વિદ્યાર્થીઓને માનવસેવા અને રાષ્ટ્રસેવામાં સમર્પિત થવા આહ્વાન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોસ્ટર અને નિબંધ સ્પર્ધા દ્વારા ‘વિકસિત ભારત’ અંગેના પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઉપરાંત મેડિકલ કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, ભાજપ પ્રદેશ યુવા મોરચાના કુલદીપ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલ કોટેચા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ હર્ષ ગોહિલ, સુદામા ડેરીના ચેરમેન આકાશ રાજશાખા સહિતના આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 135

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *