-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહી-
ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી રેગીંગની ઘટનાને રાજ્ય સરકાર દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. આ મામલે આરોગ્ય રાજ્યમંત્રી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તાત્કાલિક નોંધ લઈ સંબંધિત સત્તાધિકારીઓને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને તથ્યાધારિત તપાસ કરી વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે.
ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મેડિકલ કોલેજના ડીનશ્રી તેમજ એન્ટી-રેગીંગ કમિટીને તાત્કાલિક તપાસ હાથ ધરી સમગ્ર હકીકતો સરકાર સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની સુરક્ષા, માન-મર્યાદા અને શૈક્ષણિક હિતોના રક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ભયમુક્ત, સુરક્ષિત અને સંસ્કારપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
રેગીંગ જેવી અમાનવીય, અસંવેદનશીલ અને અસ્વીકાર્ય પ્રવૃત્તિઓ માટે રાજ્યમાં કોઈ સ્થાન નથી. તપાસમાં જે કોઈ દોષિત ઠરશે તેમની સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.
















