Helth

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની નવસારી સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત: આરોગ્ય કામગીરી અને દૈનિક રિપોર્ટની સમીક્ષા કરાઈ

નવસારી: શુક્રવાર: નવસારી જિલ્લામાં તાજેતરમાં પૂરની અસર બાદ જનસ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સંભવિત રોગચાળાને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ સંદર્ભે રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નવસારી સિવિલ હોસ્પિટલની અચાનક (સરપ્રાઈઝ) મુલાકાત લઈ ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ અને સફાઈ વ્યવસ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત બાદ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં પૂર બાદની રોગચાળા નિયંત્રણ કામગીરી અંગે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. આ પ્રસંગે નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. રંગુનવાલા તેમજ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સમીક્ષા બેઠક દરમિયાન મંત્રીશ્રીએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં હાથ ધરાયેલ આરોગ્ય સર્વેલન્સ અને કીટક નિયંત્રણ કામગીરીના દૈનિક રિપોર્ટની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી.

જિલ્લાના ૧૬૯ અસરગ્રસ્ત ગામો અને ૧૧ વોર્ડ મળીને કુલ ૨૪૧ વિસ્તારોમાં ૩૨૦ સર્વેલન્સ ટીમો (પ્રત્યેક ટીમમાં ૩ સભ્યો), ૪૫ મેડિકલ ઓફિસરો, ૭ MHU અને ૨૧ RBSK ટીમો સાથે ૧૭૯૬થી વધુ આરોગ્ય કર્મચારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૭૬ જેટલા મેડિકલ કેમ્પ યોજીને ૬૭૭થી વધુ OPD દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પ્રકારની જરૂરી મફત દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે.

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો અટકાવવા માટે યુદ્ધના ધોરણે વિતરણ અને સફાઈ કામગીરી હાથ ધરાઈ છે, જેમાં ૫૪,૧૩૫ ક્લોરિન ટેબ્લેટ, ૫૭૮ ORS પેકેટ અને ૩૬,૯૧૪ ડોક્સીસાઈક્લીન કેપ્સ્યુલનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ પાણીના શુદ્ધિકરણની ચકાસણી માટે લેવાયેલા ૨૯૫૧ સેમ્પલમાંથી ૯૮૫ સ્થળોએ ક્લોરીન પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. આ ઉપરાંત મચ્છરોના ઉપદ્રવને અટકાવવા ૪૫,૫૯૩ પાત્રોની તપાસ કરી ૧૧,૨૬૦ કન્ટેનરમાં ટેમિફોસ ટ્રીટમેન્ટ, ૧૮૫ સ્થળોએ ઓઈલ બોલ અને ૨ સ્થળોએ ડાયફ્લુબેન્ઝ્યુરોનનો છંટકાવ કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ આરોગ્ય ટીમોને સતત એલર્ટ પર રહીને કામગીરી ચાલુ રાખવા અને દવાઓનો પૂરતો જથ્થો જાળવી રાખવા કડક સૂચના આપી હતી. નવસારી જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને સ્વચ્છતા જાળવવા, ઉકાળેલું પાણી પીવા અને તાવ, ઝાડા-ઊલટી કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

આરોગ્ય તંત્રને દવાઓ, ફોગિંગ અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા અપાયા આદેશ…

1 of 8

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *