ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજ્યમાં જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે અને તાજેતરમાં પી. પી. સવાણી શાળાની હોસ્ટેલ, સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગ ની ઘટના ને ગંભીરતાથી લેતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રને હોસ્ટેલ/કેન્ટીન તપાસ માટેની સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરવાની સુચના આપી હતી.
તંત્ર દ્વારા તા: ૧૪-૦૯-૨૦૨૬ ના ૦૬:૦૦ વાગ્યા સુધી માં નીચે મુજબ ની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં..
•તપાસ કરેલ હોસ્ટેલ/કેન્ટીન ની સંખ્યા: ૨૦૦
• સરકારી: ૪૭
• અર્ધ સરકારી: ૨૧
• પ્રાઇવેટ: ૧૩૨
• આપેલ ઇમ્પ્રુવમેન્ટ નોટીસની સંખ્યા: ૬૧
• લીધેલ નમુના ની સંખ્યા: ૧૧૪
• સ્વંયભુ બંધ: ૧૦
• લાયસન્સ સસ્પેન્ડ: ૧
સુરતના અબ્રામા વિસ્તારમાં ગત ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બનેલી ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટનામાં ૧૦૦ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ને અસર થયેલ જેને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. આ દુર્ઘટનાને પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવતા સમગ્ર રાજ્યની તમામ હોસ્ટેલ/કેન્ટીનમાં ખોરાકની ગુણવત્તા અને અસ્વચ્છતા અંગે સઘન ચકાસણી હાથ ધરવા માટે ખાસ ડ્રાઇવ યોજવાના આદેશ આપ્યા છે.
રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જાહેર જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા, ભેળસેળિયા તેમજ કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અસામાજિક તત્વો સામે આગામી સમયમાં પણ આ પ્રકારની કડક કાયદેસરની કાર્યવાહી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.
















