Devotional

પ્રસાશન, પોલીસ, પ્રચાર, પવિત્રતા અને સંચાલન સહિયારે અંબાજી ‘જય અંબે’ના નાદ સાથે ગુંજશે

ભાદરવી પૂનમ મહાકુંભ મેળો:

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે ૨૦ થી ૨૬ મી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખાં, સફાઈ ,પાણી, ટોઇલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૨૯ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે.

પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, માઇભકતોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે ૨૯ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટ ભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે. જિલ્લા કલેકટરે આ સાથે કરોડો માઇ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ હતું તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.

કલેક્ટરએ પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ માં અંબેના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો. ચાલુ વર્ષે ડ્રોન શૉનું પણ વિશેષ આયોજન કરાયું છે. આ સાથે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાશે. જટાયુ મશીન દ્વારા કચરાનો નિકાલ કરાશે. કચરા માટે દાંતા અને હડાદ રોડ પર ૭૫૦ થી વધુ ડસ્ટબિન મુકાયા છે. ૭૦૦૦ થી વધુ સરકારી કર્મચારીઓ મેળામાં ફરજ બજાવશે.

કલેક્ટરએ જણાવ્યું કે, જો હવામાન સાફ રહેશે તો ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિર ખાતે ડ્રોન શૉ નું આયોજન કરાશે. આ સાથે ગબ્બર ખાતે વિશેષ રોશની કરાઈ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત ભરમાંથી અંબાજી મહા મેળામાં આવતા પદયાત્રિકો માટે ૧૦ કરોડનું વીમા કવચ આપવામાં આવશે. નજીકના રાજસ્થાન રાજ્યમાં પણ ૫૦ કિમી અંતર સુધી આ લાભ મળી રહેશે. આ સાથે પદ યાત્રિક બનાસકાંઠા જિલ્લાની હદમાં હોય અને કોઈ આકસ્મિક ઘટના ઘટે છે તો તત્કાલિક ૨ લાખ રૂપિયાની વીમા સહાય આપવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેએ જણાવ્યું કે, અંબાજી પદયાત્રા અને મેળા દરમિયાન યાત્રિકોની સુવિધા અને સ્વચ્છતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પાંચ ઝોનમાં આશરે ૨,૦૦૦ સફાઈ મિત્રો અને ૧૩૫ થી ૧૫૦ ટ્રેક્ટરોની મદદથી વિવિધ રૂટો પર સઘન સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં રાત્રિના સમયે પણ સફાઈ કરીને સવારે સ્વચ્છ માર્ગો ઉપલબ્ધ કરાવવા, કચરાપેટીઓ મૂકવી, ફૂડ વેસ્ટ કલેક્શન એજન્સીની નિમણૂક કરવી અને સેવાકીય ચીજવસ્તુઓનું વિતરણ કરતા વાહનો માટે ૧૦ જેટલા નિયત સ્થળોએ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરી પ્લાસ્ટિક અને કચરાના ફેલાવાને અટકાવવા સાથે સ્વચ્છતા અને સેવાનો ઉત્તમ સમન્વય સાધવામાં આવ્યો છે.

જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતાં જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે વિવિધ લેયરમાં કામ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા, શાંતિ, પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ “ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન” તરીકે કામ કરશે. ૫૦૦૦ જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરજ બજાવશે. ખાસ ટીમો સી.સી.ટી.વી નું મોનિટરીંગ કરશે. મહિલાઓ માટે ‘શી’ ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિકભાઇ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ, ભોજન, દર્શન અને વિસામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. ૭૫૦ જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, અંબાજીથી ૬૦ કિલોમીટર વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઊભી કરાશે. સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કંટ્રોલરૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટની વેબસાઇટ મારફત સેવા કેમ્પ અને વાહનોની નોંધણી, મોબાઈલ સેવા કેમ્પની નોંધણી વગેરે ડિજિટલ માધ્યમથી કામગીરી કરવામાં આવી રહી છે. સ્માર્ટ પાર્કિંગ, બાળ સહાયતા કાર્ડ પણ મેળા દરમિયાન આપવામાં આવશે. આ પ્રસંગે પત્રકારોએ પણ મેળાના સુદ્રઢ આયોજન અને માઈભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય એ માટેના સલાહ સૂચન આપ્યા હતા જેને વહીવટીતંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી.

આ પ્રસંગે બનાસકાંઠા નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરીને પત્રકાર મિત્રોને આવકાર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમેરિકાની હાર્વડ યુર્નિવર્સિટીમાં પૂ. મોરારિબાપુના શ્રીમુખેથી રામકથા અને તુલસી જન્મોત્સવનો પ્રારંભ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) અમેરિકાની હાર્વડ યુનિવર્સિટી બોસ્ટનમાં સ્થિત છે.…

1 of 28

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *