મીડિયા અને સોશિયલ મીડિયા માત્ર શોક વ્યક્ત કરવા પૂરતા સીમિત ન રહેતાં માર્ગ સલામતીનો સંદેશ વહાવે તો અનેક યુવા જિંદગીઓ બચી શકે
ગુજરાતના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર અને ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે જાણીતા સ્વ. ચંદન રાઠોડનું તાજેતરમાં એક માર્ગ અકસ્માતમાં અકાળે દુઃખદ અવસાન થયું. એક સામાન્ય પરિવારમાંથી આવીને પોતાની સહજ પ્રતિભાથી લાખો લોકોના દિલ જીતનાર આશાસ્પદ યુવાનના આ આકસ્મિક વિદાયથી સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સોશિયલ મીડિયા અને મુખ્ય પ્રવાહના મીડિયામાં પણ તેમના પ્રત્યે ભારે સંવેદના અને શ્રદ્ધાંજલિનો પ્રવાહ વહી રહ્યો છે.
પરંતુ, આ સમગ્ર ઘટનાનો સૌથી દુઃખદ અને વિચારવા જેવો પાસું એ છે કે અકસ્માત સમયે તેમણે હેલ્મેટ પહેરી નહોતી. માત્ર શોક વ્યક્ત કરવા કે આંસુ સારવા કરતાં વધુ જરૂરી એ છે કે સમાજ અને ખાસ કરીને યુવા પેઢી આ કરૂણ ઘટનામાંથી બોધપાઠ લે. જો મીડિયા અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સે આ લાગણીની સાથે-સાથે માર્ગ સલામતી, વાહન ચલાવતી વખતે સતર્કતા અને હેલ્મેટ પહેરવાના મહત્વને પ્રબળતાથી જોડ્યું હોત, તો કદાચ બીજા હજારો આશાસ્પદ ચંદનભાઈઓ અને યુવાનોના જીવ બચાવી શકાયા હોત.
માત્ર પોલીસ કે દંડના ડરથી નહીં, પોતાના પરિવાર માટે નિયમો પાળો
વાહન ચલાવતી વખતે હેલ્મેટ કે સીટબેલ્ટનો ઉપયોગ માત્ર પોલીસની ચલણ-કાર્યવાહી કે દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના અનમોલ જીવન અને પરિવારની ખુશીઓ માટે કરવો અનિવાર્ય છે. રસ્તા પર વાહન ચલાવતી વખતે ‘ઈગો’ (અહંકાર) અને ખોટી ઉતાવળ કરવાને બદલે સંયમ અને ધીરજ દાખવવી જરૂરી છે. સામેવાળા વાહનચાલકને માન આપવું અને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવું એ દરેક નાગરિકની સામાજિક જવાબદારી છે.
સાચી શ્રદ્ધાંજલિ: જાગૃતિનું અભિયાન કોઈપણ પ્રતિભાશાળી યુવાન પોતાના પરિવારનો આધારસ્તંભ હોય છે અને તેનું અકાળે જવું એ પરિવાર માટે ક્યારેય ન પુરાય તેવી ખોટ છે. સ્વ. ચંદન રાઠોડને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ ગણાશે જ્યારે રાજ્યનો દરેક યુવાન બાઈક ચલાવતી વખતે ફરજિયાતપણે ગુણવત્તાયુક્ત હેલ્મેટ પહેરવાનો સંકલ્પ કરે અને સલામત ડ્રાઇવિંગના નિયમોનું ચુસ્ત પાલન કરે. સોશિયલ મીડિયા અને મીડિયા જગતે પણ હવે શોકની સાથે-સાથે આ પ્રકારના ગંભીર મુદ્દાઓ પર જનજાગૃતિ ફેલાવવાની પહેલ કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવા માર્ગ અકસ્માતો અટકાવી શકાય.
















