ભગવાન સ્વામિનારાયણે ૧૧ વર્ષની કુમળી વયે ગૃહ ત્યાગ કરી નિલકંઠ વર્ણી સ્વરૂપે કલ્યાણ યાત્રાનો આરંભ કર્યો હતો. સતત ૭ વર્ષ સુધી તેઓની આ કલ્યાણ યાત્રા રૂપી કરુણા ગંગા સમગ્ર ભારત ભરમાં વહેતી રહી. આ યાત્રા સરળ ન હતી,
તેઓએ કરેલ હિમાલયની કઠિન યાત્રા આજે પણ કલ્પનાતીત છે. લોકોના કલ્યાણ હેતુ ,જીવન પરિવર્તન હેતુ આ યાત્રા હતી. અયોધ્યાથી પ્રારંભ થયેલ યાત્રા ગુજરાતમાં વિરામ પામી. આ યાત્રા દરમ્યાન નિલકંઠ વર્ણી મહારાજના તપ, ત્યાગ, વૈરાગ્ય, નિર્ભયતા, સરળતા, સહજતાના ગુણોના દર્શન થયા. નીલકંઠ વર્ણીએ ગોહિલવાડ, ભાવનગરની ભૂમિને પણ યાત્રા દરમ્યાન પાવન કરેલી હતી.
વડવા વિસ્તારમાં આવેલ લક્ષ્મણજીનું મંદિર, દેવજી ભગતની ધર્મશાળામાં નીલકંઠ વર્ણી ત્રણ દિવસ રોકાયા હતા અને ત્યાં ચાલતા અન્નક્ષેત્રમાં ત્રાંબાની ગોળીમાંથી સૌને અન્ન આપતા. આજે પણ આ પ્રસાદીની ગોળી મંદિરમાં સાચવી રાખવામા આવેલ છે.
ભાવનગરમાં અક્ષરવાડી મંદિરમાં વર્ષ ૨૦૦૮માં રથયાત્રાના પવિત્ર દિવસે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજ દ્વારા પૂજિત અને પ્રતિષ્ઠિત નિલકંઠ વર્ણી મહારાજ સૌની પ્રાર્થના તથા સૌના શુભ સંકલ્પો પૂરા કરી રહ્યા છે.
તારીખ ૨૭ જૂન, શુક્રવારે સાંજે ૫ થી ૭ દરમ્યાન રથયાત્રાના પવિત્ર દિવસે નિલકંઠ વર્ણી મહારાજનો ૧૭ મો પાટોત્સવ તથા ભગવાનની રથયાત્રાનો ઉત્સવ બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થાની સત્સંગ પ્રવૃત્તિના અમદાવાદથી પધારેલ મુખ્ય સંત પૂજય યજ્ઞપ્રિય સ્વામી, કોઠારી સંત પૂજ્ય યોગવિજય સ્વામી, સંતો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો- હરિભક્તોની હાજરીમાં ઉજવાયો હતો. પૂ. યજ્ઞપ્રિય સ્વામીએ પાટોત્સવ તથા રથયાત્રા ઉત્સવનો મર્મ તથા મહિમા સમજાવ્યો હતો.
આપણાં જીવનરૂપી રથની લગામ ભગવાન અને સાચા ગુરુના હાથમાં સોંપવામાં આવે તો નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. આ પ્રસંગે સૌનું શુભ થાય તે હેતુ વિશ્વશાંતિ મહાપૂજા, નીલકંઠ વર્ણી મહારાજ અભિષેક તથા નીલકંઠ વર્ણી મહારાજ સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ઉત્સવની પ્રાસંગિક સભા બાદ મંદિરના પ્રાંગણમાં ઠાકોરજીને કલાત્મક રથમાં બિરાજમાન કરી સંતો તથા હરિભક્તો, બહેનોએ ક્રમાનુસાર રથ ખેંચી અક્ષરવાડીના સમગ્ર પરિસરમાં વિહાર કરાવ્યો હતો..