તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી ,ગાંગડા, માલણ , ખત્રીવાડા, ઊંટવાળા તથા આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું હતું.

અનેક પરિવારો વિકટ પરિસ્થિતિને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. આવા વિકટ સંજોગોમાં B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના પૂજ્ય કોઠારી વિનમ્રમુની સ્વામી, પૂજ્ય અખંડ મંગલ સ્વામી તથા પૂજ્ય યોગીપુરુષ સ્વામીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં માનનીય મામલતદાર સાહેબ ( ઉના ) શ્રી બી.કે. ભીમાણી સાહેબ ના માર્ગદર્શન અનુસાર પુરપીડિતોને સંસ્થા દ્વારા લગભગ 1062 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવેલ હતું.

મંદિરના સંતોના માર્ગદર્શન હેઠળ હરિભક્તો અને સ્વયંસેવકોએ સેવાભાવથી મોટી સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર કર્યા. ત્યારબાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જરૂરિયાતમંદ પરિવારોને પ્રેમ અને આત્મીયતા સાથે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું, જેથી મુશ્કેલીના સમયમાં અનેક પરિવારોને તાત્કાલિક ભોજનની સહાય મળી શકી.

B.A.P.S. સ્વામિનારાયણ સંસ્થા હંમેશાં આપત્તિના સમયમાં સમાજની સેવામાં અગ્રેસર રહી છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના “બીજાના સુખમાં આપણું સુખ” ના જીવનમંત્રને અનુસરી અને પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થાના સંતો તથા હરિભક્તો સતત વિવિધ માનવતાલક્ષી સેવા પ્રવૃત્તિઓ દ્વારા સમાજને સહાયરૂપ બની રહ્યા છે.

આ સમગ્ર સેવા કાર્યમાં મંદિરના સંતો, હરિભક્તો તથા સ્વયંસેવકોએ નિઃસ્વાર્થ ભાવથી સેવા આપી માનવતા અને સેવાભાવનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું.
















