શોકને સેવામાં બદલતા જયપાલ પરિવારની નવી પહેલ;
દિવંગત શિક્ષકની સ્મૃતિમાં સ્નેહીજનો અને બહેનોએ પણ કર્યું રક્તદાન
વલભીપુર: તારીખ
ભાવનગર-વલભીપુર હાઈવે પર ચમારડી પાસે થોડા દિવસો પૂર્વે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વલભીપુરના આદર્શ શિક્ષક દીપકભાઈ નટવરભાઈ જયપાલે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આજે તેમની ઉત્તરક્રિયાના પ્રસંગે જયપાલ પરિવારે પરંપરાગત રિવાજોની સાથે સામાજિક જવાબદારી નિભાવી ‘રક્તદાન એ જ મહાદાન’ના સૂત્રને સાર્થક કર્યું હતું. દિવંગતની સ્મૃતિમાં આયોજિત રક્તદાન કેમ્પમાં કુલ ૮૦ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે મૃત્યુ બાદના પ્રસંગોમાં શોકનું વાતાવરણ હોય છે, પરંતુ વલભીપુરના જયપાલ પરિવારે એક ક્રાંતિકારી વિચારધારા સાથે લોકહિતાર્થે આ આયોજન કર્યું હતું. આ કેમ્પમાં વલભીપુરના શિક્ષક જગત, જયપાલ પરિવારના સભ્યો, મિત્રો, વડીલો અને ખાસ કરીને બહેનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે, રક્તદાન દ્વારા અનેક લોકોના જીવ બચાવી શકાય છે. જ્યારે પરિવાર પર આવી આફત આવી હોય ત્યારે અન્ય કોઈની જિંદગી લોહીના અભાવે ન જોખમાય તેવો ઉમદા સંદેશ આ પરિવાર દ્વારા સમાજમાં વહેતો કરવામાં આવ્યો છે.
વલભીપુર પંથકમાં આ પ્રેરણાદાયી કાર્યની ચોમેર પ્રશંસા થઈ રહી છે અને અન્ય લોકો પણ આવા પ્રસંગોએ સેવાનું કાર્ય કરવા પ્રેરાય તેવો સકારાત્મક માહોલ સર્જાયો છે.
રિપોટર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર
















