તલગાજરડામાં પૂજ્ય મોરારિબાપુ ના કર કમળોથી રામકથાનો પ્રારંભ
વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
પૂજ્ય મોરારિબાપુ વિશ્વના એક એવા કથા વક્તા છે કે જેમનું શ્રવણ શરીરના તમામ અંગોને રોમાંચિત કરી દે છે. પરંતુ સમય મળે ત્યારે પૂજ્ય બાપુ પણ એક સારા શ્રોતા તરીકે હંમેશા પ્રસ્તુત થયા છે.
તારીખ 14 મે ના રોજ મહુવા તાલુકાના તલગાજરડા ખાતે ગામ સમસ્ત રામકથાનો પ્રારંભ થયો. પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે કથાનો પ્રારંભ થયો. આ કથા ના વક્તા તરીકે સુખ્યાત વક્તા પૂજ્ય શ્રી રામેશ્વર બાપુ હરિયાણી છે. તેઓ કથાઓના ક્રમમાં પોતાનો સમય ફાળવીને તલગાજરડામાં કથા ગાન કરવા માટે પધાર્યા છે, તે સૌ માટે આનંદનો વિષય છે.
પૂજ્ય મોરારિબાપુએ પોતાની પ્રાસંગિક વાણીમાં કહ્યું કે દર વર્ષે આ ભૂમિ ઉપર કોઈને કોઈ કથાનો ક્રમ જળવાવો જોઈએ. નાનો હતો ત્યારથી દર વર્ષે ગામના પૂ. છગનદાદા ભાગવત કથા લાભ આપતા રહ્યા છે,તે સ્મરણ કરી લઉ. દર વર્ષે આપણે કોઈ પણ ગ્રંથની ભાગવતજી હોય રામકથા હોય કે અન્ય કોઈ સદ ગ્રંથ તેની કથા ગાવી જોઈએ. જેથી આપણા સનાતનની સંસ્કારો મજબૂત અને દ્રઢ થતા રહે.
કથાનો પ્રારંભ કરતા પૂજ્ય રામેશ્વર બાપુ હરિયાણીએ કહ્યું કે રામચરિત માનસનો પહેલો દિવસ કથા મહાત્મ્યનો દિવસ છે. જેમાં અનેક વંદના કથાઓ તથા માનસનું મહાત્મ્ય આકારિત છે. વાલ્મિકી જેને કાંડ કહે પરંતુ તુલસીદાસજી મહારાજ તેને સોપાનો ગણીને આગળ વધ્યા છે. અહીં આ સોપાનો એ ભગવાન રામજીના વિવિધ અંગો છે.
જેમાં સુંદરકાંડ એ ભગવાન રામજીનું હૃદય છે. મને અહીં કથા ગાવાનો અવસર મળ્યો છે. તે મારા માટે સદભાગ્ય અને ગૌરવ રૂપ ઘટના ગણું છું. બાપુ સામે બોલવું અઘરું તો છે પરંતુ હું અશ્રુ અને આશ્રયથી આગળ વધીશ.
પ્રથમ દિવસે વક્તા પૂ.મહાદેવ પ્રસાદજીની ઉપસ્થિતિ રહ્યા હતા.તેમણે પ્રાસંગિક વાણીનો લાભ આપ્યો હતો.કથાના યજમાન મનોરથી તરીકે સમગ્ર ગામ તો જોડાયું છે.પણ સ્વ. રામજીભાઈનો પરિવાર વિશેષ પોતાનું યોગદાન આપી રહ્યો છે.















