Latest

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા.૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ – ૨૦૨૪’નું ભવ્ય આયોજન

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આયોજન સંદર્ભે પ્રવાસન વિભાગના અગ્ર સચિવશ્રી હારિત શુક્લાના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ

ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરી થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪’ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહોત્સવના સુચારુ, સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે અંબાજી ખાતે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ તથા બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવશ્રી હારિત શુક્લાની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે મિટીંગ યોજવામાં આવી હતી.

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪’માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આ વર્ષે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.

આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

પ્રવાસન વિભાગના અગ્ર સચિવશ્રી હારિત શુક્લાએ ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં મા અંબાના દર્શને આવનાર દરેક શ્રધ્ધાળુઓની તમામ વ્યવસ્થાઓ સચવાય અને આ પરિક્રમા એમના માટે એક યાદગાર પ્રસંગ બની રહે એ પ્રકારનું આયોજન કરવા તમામ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં આ પરિક્રમા મહોત્સવ ભાદરવી પૂનમની જેમ શ્રદ્ધાળુઓ માટે સીમાચિન્હ રૂપ બની રહેશે. શ્રી હારિત શુક્લાએ વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલે પ્રેઝન્ટેશન આપતા જણાવ્યું હતું કે, અંબાજી ગબ્બર ખાતે આવેલ ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે આ મહોત્સવના દરેક દિવસે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમ કે મહોત્સવના પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા, બીજા દિવસે પાદુકા યાત્રા અને ચામાર યાત્રા, ત્રીજા દિવસે ધજા યાત્રા, ચોથા દિવસે મશાલ યાત્રા,ત્રિશૂળ યાત્રા અને જ્યોત યાત્રા તથા છેલ્લા દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ તથા સંસ્કૃતમાં અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વધુમાં આ મહોત્સવ દરમિયાન દરરોજ ભજન સત્સંગ, મહાઆરતી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન તથા અંતિમ દિવસે દાતાશ્રીઓ, યજમાનશ્રીઓ તથા બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવશે.

કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, બસોની સુવિધા, સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે ૭ કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર.આર રાવલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, મંદિર ટ્રસ્ટના ઇન્ચાર્જ વહીવટદારશ્રી કમલ ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *