Latest

જેટલું વહેલું નિદાન એટલી જ સ્તન કેન્સર મટવાની શક્યતા વધારે”- જામનગરના મહિલા કેન્સર નિષ્ણાંતોના મહત્વના સૂચનો

જામનગર, સંજીવ રાજપૂત: “જેટલું વહેલું નિદાન એટલી જ કેન્સર મટવાની શક્યતા વધારે” આ શબ્દો છે જામનગરમાં છેલ્લા દસ વર્ષથી કેન્સર સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપી રહેલ ડો.શિવાની ભટ્ટના. ભારતમાં બહેનોમાં સ્તન કેન્સર એ સૌથી વધુ જોવા મળતું કેન્સર છે. ત્યારે વહેલા નિદાન થકી કેન્સરને મહાત આપી શકાય છે અને આ માટે ત્રણ બાબતો દરેક સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વની છે.

સ્તન કેન્સર સામે રક્ષણ મેળવવા ડો.ભટ્ટે મહિલાઓને ત્રણ મહત્વના સૂચન કરતાં જણાવ્યું છે કે પ્રથમ બાબત એ આપણા હાથમાં છે અને તે એટલે સ્તનની જાત તપાસ:20 વર્ષથી મોટી ઉંમરની દરેક બહેનોએ દર મહિને નિયમિત રીતે પોતાના સ્તનની જાત તપાસ કરતા રહેવી જોઈએ અને જો ગાંઠ, લોહી નીકળવું, ચામડીમાં ફેરફાર વગેરે જેવા લક્ષણો જણાય તો શરમ કે સંકોચ રાખ્યા વગર તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.

બીજી મહત્વની બાબત છે કે જો કોઈ પણ પ્રકારની તકલીફ કે લક્ષણો જણાતા ન હોય તો પણ દર વર્ષે સ્ત્રીરોગ નિષ્ણાંત કે નજીકના ડોક્ટર પાસે સ્તન કેન્સર અંગેની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે.

ખૂબ જ નજીવા દરે થતી આ તપાસ આવનારી મુશ્કેલીમાંથી ઉગારી શકે છે.અને ત્રીજી મહત્વની બાબત છે સ્ક્રીનીંગ મેમોગ્રાફી. મેમોગ્રાફી એ સરળ રીતે થતી એક્સ-રે મશીનની તપાસ છે. 40 થી 45 વર્ષની ઉંમર પછી દરેક બહેનોએ કંઈ પણ તકલીફ ન હોય તેમ છતાં પણ મેમોગ્રાફીની તપાસ કરાવતા રહેવી જોઈએ.

જ્યારે કોઈ જ લક્ષણો ન જણાતા હોય કે, કોઈ જ પ્રકારની મુશ્કેલી કે દુખાવો ન થતો હોય તેવા સંજોગોમાં પણ મેમોગ્રાફી મશીન સ્તનમાં રહેલી કેન્સરની નાનામાં નાની ગાંઠને પણ સરળતાથી પકડી પાડે છે અને જેને ઓછામાં ઓછી સારવાર સાથે મટાડી પણ શકાય છે.

વધુમાં ડો.ભટ્ટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ્ય જીવનશૈલી કેળવવી, શરીરનું વજન નિયંત્રણમાં રાખવું, કસરત કરવી, વ્યસનથી દૂર રહેવું, પ્રસુતી બાદ સ્તનપાન કરાવવું વગેરે જેવી બાબતો પણ ખૂબ જ મહત્વની છે અને આ બાબતો અનુસરવાથી જ આપણે આ કેન્સર સામેની લડાઈ સરળતાથી જીતી શકીશુ.

આગામી શુક્રવારના રોજ વર્લ્ડ મેમોગ્રાફી ડે તથા વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ માસની ઉજવણી પ્રસંગે શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડિન ડો.નંદીની દેસાઈ તેમજ રેડિયોલોજી વિભાગના વડા ડો.નંદીની બાહરીએ પણ જામનગરની મહિલાઓને અપીલ કરતા જણાવ્યુ છે કે વધુમાં વધુ મહિલાઓ નિયમિતપણે સ્તન કેન્સર અંગેની તપાસ કરાવે અને કેન્સર શરીરમાં પ્રવેશે તે પહેલા જ તેની સામે રક્ષણ મેળવે.આ માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સ્ક્રીનીંગ મેમોગ્રાફીની સુવિધા તદ્દન નજીવા દરે ઉપલબ્ધ છે જેનો વધુમાં વધુ મહિલાઓ લાભ લે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *