કલાથી શ્રીકૃષ્ણ સંદેશ આપનાર ફિલ્મ લાલાની ટીમ લોકાદરથી ગદગદ
આગામી તા.૧૮થી ૨૬ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન શ્રી કૈલાસ ટેકરી, સગાપરા ધાર ખાતે પૂજ્ય શ્રી મોરારિબાપુની રામકથા યોજાનાર છે. એ સ્થાને ભૂમિપૂજન અને હનુમંત યજ્ઞ તથા શ્રીભીડભંજન મહાદેવ પાલિતાણાથી શ્રીજડેશ્વર મહાદેવ સુધીની સંતદર્શન યાત્રાના ત્રિવિધ આધ્યાત્મિક આયોજનમાં સમગ્ર પંથકના ભક્તજન સાધકગણે ઉત્સાહભેર જોડાઈને પોતાનો ભક્તિ ભાવ પ્રકટ કર્યો હતો.
૬ કિલોમીટર જેટલી લાંબી યાત્રામાં બગીમાં સંતો બિરાજમાન હતા અને ખુલ્લી જીપમાં લાલો ફિલ્મનાં મુખ્ય પાત્રો લાલો અને તુલસી તથા તેની ટીમ હતી. માર્ગ પર પુષ્પવર્ષા થતી રહી. ઠેર ઠેર શરબત, છાશ, પાણી અને ઠંડા પીણાંનું વિતરણ વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ. સાથોસાથ લોકોએ રાસગરબાની રમઝટ બોલાવી હતી. તો સ્વયંસેવકો અને પોલીસ પ્રશાસનની સેવા ઉત્તમ રહી.
હનુમંત યજ્ઞ પૂર્ણાહુતિમાં યાત્રા સમાપન થયા બાદ સંતો, ભક્તોએ પ્રસાદ લાભ સગાપરા આશ્રમ ખાતે લીધેલ. આવા જ ઉત્સાહ અને શિસ્તથી શ્રી રામકથામાં પોતાનાં ભાગે આવેલ સેવા નિષ્ઠાપૂર્વક નિ:સ્વાર્થભાવે કરવાનાં આહ્વાન સાથે સ્વયંભૂ લોકઉત્સાહ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરાઈ.
















