ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓ પોતાના ખેતરમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના વિવિધ પાક, શાકભાજી, અનાજ અને કઠોળનું ઉત્પાદન મેળવે છે સંજયસિંહ ગોહિલ જણાવે છે કે રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને પાકમાં રોગ જીવાત આવે છે.
પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી તેમના પાકમાં કોઈ રોગ આવતો નથી, જેના કારણે દવા છાંટવાની જરૂર પડતી નથી. તેમણે ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પકવેલા પાકમાં વજન પણ વધુ આવે છે.સંજયસિંહ માત્ર ગુણવત્તાયુક્ત પાક જ પકવતા નથી,પરંતુ તેનું સ્માર્ટ માર્કેટિંગ પણ કરે છે.તેઓ પોતાની મોબાઈલ વાન લઈને ધોળા, ઉમરાળા,વલ્લભીપુર તેમજ ભાવનગર અને તેની આસપાસના ગામોમાં સીધા ગ્રાહકો સુધી તાજા શાકભાજી,અનાજ અને કઠોળ પહોંચાડે છે.
આ વ્યવસ્થાથી ગ્રાહકોને પ્રાકૃતિક ખેત પેદાશો વાજબી ભાવે મળે છે.તેમના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા એટલી ઉત્કૃષ્ટ છે કે બજારમાં આવતાની સાથે જ માત્ર ૨ થી ૩ દિવસમાં તમામ ઉત્પાદન વેચાઈ જાય છે. હાલમાં તેમના ખેતરના ઘઉં, બાજરી અને રોજેરોજના તાજા શાકભાજી ખરીદવા માટે ગ્રાહકો તરફથી એડવાન્સમાં બુકિંગ થઈ રહ્યું છે.
ગ્રાહકો પણ આ શુદ્ધ અને સાત્વિક ખોરાકથી અત્યંત સંતુષ્ટ છે.
ગ્રાહક તરીકે જોડાયેલા વૃદ્ધો ખુશી વ્યક્ત કરતા કહે છે કે,”સંજયસિંહના ખેતરના અનાજ અને શાકભાજી ખાવાથી અમને અમારા બાળપણનો, એટલે કે ૪૦ વર્ષ જૂનો અસલી સ્વાદ અને સુગંધ ફરી ચાખવા મળ્યા છે.”ધરતીમાતાના સ્વાસ્થ્ય અને માનવ જીવનને રોગોથી બચાવવા માટે સંજયસિંહ ગોહિલે અન્ય ખેડૂત ભાઈઓને પ્રેરણાદાયી અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે રાસાયણિક ખેતી એ અસંખ્ય રોગોનું ઘર છે.જો આપણે આપણી આવનારી પેઢીને તંદુરસ્ત રાખવી હોય તો ઝડપથી રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
















