સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ વિભાગ તથા સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના’ અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે દેશની જનતાએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પર અતૂટ ભરોસો મૂક્યો છે, જે સાબિત કરે છે કે દેશ માત્ર વચનો નહીં પણ કામ જુએ છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકાર રચાયા બાદ તુરંત પીએમ કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કરાયા, જે દર્શાવે છે કે સરકાર માટે ગરીબ, કિસાન, યુવા અને મહિલાઓ જ પ્રાથમિકતા પર છે. વધુમાં જણાવ્યું હતું કે ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ના મંત્ર સાથે છેવાડાના માનવી સુધી ૧૦૦% લાભ પહોંચાડવાના લક્ષ્યને કારણે કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
ડિજિટલ ગવર્નન્સ (DBT) ની મદદથી ભ્રષ્ટાચાર નાબૂદ કરાયો છે અને સરહદો તેમજ આંતરિક સુરક્ષા પણ મજબૂત બની છે. જન-ધન, આયુષ્માન ભારત, પીએમ આવાસ, ઉજ્જવલા, જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન જેવી ગરીબ કલ્યાણની યોજનાઓથી નાગરિકોનું જીવનધોરણ સુધર્યું છે. પીએમ સ્વનિધિ, મુદ્રા અને વિશ્વકર્મા યોજનાથી નાના કારીગરો-ફેરીયાઓને વિના ગેરંટી લોન અપાઈ છે, જ્યારે લખપતિ દીદી અને સુકન્યા સમૃદ્ધિ યોજનાથી નારી શક્તિનું સશક્તિકરણ થયું છે.
પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના, હાઇવે નેટવર્ક, રેલવેનું વિદ્યુતીકરણ, વંદે ભારત ટ્રેનો, મેટ્રો રેલ અને ઉડાન યોજના હેઠળ નવા એરપોર્ટોના નિર્માણથી દેશમાં વિશ્વસ્તરીય કનેક્ટિવિટી ઊભી થઈ છે. આરોગ્ય અને શિક્ષણ માટે નવી એમ્સ (AIIMS) અને મેડિકલ કોલેજો સ્થાપવામાં આવી છે.
વિકાસની સાથે કર્તવ્ય પથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવું સંસદ ભવન અને પંચતીર્થ જેવા કાર્યોથી સાંસ્કૃતિક વિરાસતનું પણ સંરક્ષણ કરાયું છે. ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના અને જી-૨૦ ની સફળતાથી ભારત વિશ્વ મંચ પર મજબૂતીથી ઊભું છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી વૈશ્વિક સ્તરે સૌથી લોકપ્રિય નેતા બન્યા છે તે ગૌરવની વાત છે.
આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખશ્રી કનુભાઈએ જણાવ્યું હતું કે લોકાભિમુખ શાસનના આ ૧૨ વર્ષો પ્રજાના અડગ વિશ્વાસ અને અવિરત વિકાસના સાક્ષી બન્યા છે. સંગઠન પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે સંગઠન અને સરકારના મજબૂત સંકલનથી સરકારી યોજનાઓ છેક છેવાડાના ગામો અને અંતરિયાળ વિસ્તારના કાર્યકરો સુધી સુપેરે પહોંચી રહી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કાર્યકરો દ્વારા જન-જન સુધી પહોંચાડવામાં આવેલા સરકારના સેવા કાર્યોના કારણે જ આજે દેશમાં લોકશાહી અને વિકાસનો પાયો વધુ મજબૂત બન્યો છે.
આ પ્રસંગે સાંસદશ્રી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી નીતિઓના કારણે જન કલ્યાણની પ્રાથમિકતા સાથે સમાજના દરેક વર્ગને સમાન તકો અને આર્થિક સશક્તિકરણ મળ્યું છે. સાંસદશ્રીએ જણાવ્યું હતું કે લખપતિ દીદી અને સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાઓ દ્વારા દેશની નારી શક્તિ આત્મનિર્ભર બની રહી છે અને સુરક્ષા દળોમાં પણ મહિલાઓની ભાગીદારી વધી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ૧૨ વર્ષની યાત્રા માત્ર ભૌતિક વિકાસ પૂરતી સીમિત નથી, પરંતુ તે દરેક ભારતીયના મનમાં દેશને આત્મનિર્ભર બનાવી “વિકસિત ભારત” ના સંકલ્પને સાકાર કરનારી બની રહી છે.
આ પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલ, રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્યશ્રી વી ડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સંગઠન મીડિયા કન્વીનરશ્રી પંકજભાઈ ધુવાડ સહિત પ્રેસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















