આલ્ફા વિદ્યા સંકુલ કેમ્પસ- પાર્થ વિદ્યાલય , વરલ ખાતે અભ્યાસ કરનાર પરમાર પાર્થકુમાર પાંચાભાઈ (ગામ: ભદ્રાવળ-3)એ ધોરણ 12 સાયન્સ બોર્ડ પરીક્ષામાં 99.83 PR સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી એક અનોખી સિદ્ધિ નોંધાવી છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના એક સામાન્ય પરિવારમાંથી ઉછરેલા આ વિદ્યાર્થીએ પોતાની અદમ્ય મહેનત, સંકલ્પશક્તિ અને શિક્ષકોના માર્ગદર્શનથી આ ભવ્ય સફળતા હાંસલ કરી છે.
પાર્થકુમારના પિતા અને માતા બંને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દિવસભર મહેનત કરીને પરિવારને સંભાળતા માતા-પિતાએ પોતાના સંતાનને શિક્ષણમાં કોઈ કમી ન રહે તે માટે સદા પ્રયત્નશીલ રહ્યા છે. આર્થિક રીતે સાધારણ પરિસ્થિતિ હોવા છતાં તેમણે સંસ્કાર, શિસ્ત અને પરિશ્રમના મૂલ્યો પાર્થમાં બાળપણથી જ સંચાર્યા હતા. પરિવારના આ મૂલ્યો જ પાર્થની સફળતાનું મજબૂત પાયો બની રહ્યા છે.
પાર્થકુમારનું બાળપણથી જ અભ્યાસ પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે. પ્રાથમિક શિક્ષણ દરમિયાન જ તેમના શિક્ષક અરજણભાઈ બી.ડાંગર (ભદ્રાવળ-2)એ તેમના અંદર રહેલી પ્રતિભાને ઓળખી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેમના પ્રેરણાથી પાર્થમાં શિક્ષણ પ્રત્યેની ગંભીરતા વધતી ગઈ અને ધોરણ 11-12 (સાયન્સ)દરમિયાન તેણે વધુ એકાગ્રતા સાથે અભ્યાસ શરૂ કર્યો.
આલ્ફા વિદ્યા સંકુલ, વરલ ખાતે ધોરણ 11 અને 12 દરમિયાન પાર્થકુમારે નિયમિતતા અને અનુશાસન સાથે અભ્યાસ કર્યો. શાળાના શિક્ષકમંડળ દ્વારા આપવામાં આવતા માર્ગદર્શનને તેણે સંપૂર્ણપણે અનુસર્યું. “રોજનું કામ રોજ કર્યું ” પૂર્ણ કરવાની તેની ટેવ, સમયનું યોગ્ય આયોજન, નિયમિત રિવિઝન અને પરીક્ષા પૂર્વ તૈયારી — આ બધું જ તેની સફળતાના મુખ્ય આધારસ્તંભ બની રહ્યા છે.
માત્ર બોર્ડ પરીક્ષામાં જ નહીં, પરંતુ ગુજકેટ -2026 પરીક્ષામાં પણ પાર્થકુમારે 111.25 ગુણ મેળવી પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. NEET પરીક્ષામાં પણ ઉત્તમ પરિણામની આશા વ્યક્ત કરતો પાર્થ ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રમાં આગળ વધવાની મજબૂત ઈચ્છા ધરાવે છે.પાર્થ પોતાની સફળતા માટે માતા-પિતા, ગામની પ્રાથમિક શાળાના શિક્ષક અરજણભાઈ ડાંગર, તેમજ આલ્ફા વિદ્યા સંકુલ, વરલના તમામ શિક્ષકો અને સ્ટાફનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે. તે કહે છે, “મારા શિક્ષકોના માર્ગદર્શન અને મારા માતા-પિતાના ત્યાગ વગર આ સફળતા શક્ય ન હોત.”
આ સિદ્ધિ એ સાબિત કરે છે કે સફળતા માટે શહેર કે સુવિધાઓ જ જરૂરી નથી, પરંતુ દ્રઢ ઇચ્છાશક્તિ, મહેનત અને યોગ્ય માર્ગદર્શન હોય તો ગામડામાંથી પણ તેજસ્વી તારાઓ ઉભા થઈ શકે છે. પાર્થકુમાર આજે અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે.
સંઘર્ષભર્યા દિવસોને યાદ કરતાં પાર્થ કહે છે કે, “આર્થિક પરિસ્થિતિ ભલે નબળી હોય, પરંતુ મનોબળ મજબૂત હોય તો કોઈપણ સપનું સાકાર થઈ શકે છે.” ભવિષ્યમાં એક સારા ડોક્ટર બનીને સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સેવા આપવાનો તેનો સંકલ્પ છે.
આલ્ફા વિદ્યા સંકુલ, વરલ શાળા પરિવાર પાર્થકુમારની આ અદભૂત સિદ્ધિ બદલ ગર્વ અનુભવે છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. તેની આ સફળતા માત્ર એક વિદ્યાર્થીની નથી, પરંતુ સમગ્ર શાળા પરિવાર,ગામ, પરિવાર અને શિક્ષણ જગત માટે ગૌરવની ક્ષણ બની છે.















