Latest

રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી: SOU- એકતાનગર ખાતે પીએમ મોદીના હસ્તે રૂ. ૧૯૬ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

એકતા નગર, સંજીવ રાજપૂત: સરદાર પટેલ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પાઠપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને એકતાનગર ખાતે વડાપ્રધાનના હસ્તે રૂ. ૧૯૬ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.

વડાપ્રધાનના હસ્તે વિવિધ વિકાસ કામો અને પ્રવાસન આકર્ષણોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સ,ત્રણ પ્રવાસન આકર્ષણો અને ત્રણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે.

પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિ યેટિવ પ્રોજેક્ટ્સ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીએ પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સનું આયોજન કર્યું છે.જેમાં ૩૦ ઇ-બસો, પબ્લિક બાઈક શેરિંગ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સિટિ ગેસનું વિતરણ અને એકતાનગરમાં આવતા પ્રવાસીઓના સરળ ટ્રાન્સપોર્ટેશન માટે ગોલ્ફ કાર્ટ્સ જેવી સુવિધાઓનું લોકાર્પણ તેમજ ૪ મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથેના સોલાર પેનલ્સનું ખાતમુહૂર્ત કરાયું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પ્રવાસીઓના હરવા ફરવા માટે ગ્રીન ઇનિશિયેટીવના ભાગરૂપે ઓથોરિટી દ્વારા ડીઝલથી ચાલતી બસોના સ્થાને હવે ઇલેક્ટ્રિક બસો ચલાવવામાં આવશે.

આ સાથે જ, પ્રવાસીઓને એકતાનગરનો સર્વાંગી અનુભવ પ્રદાન કરવા માટે તેમજ તેઓને ટ્રાન્સપોર્ટેશન માટે એક હરિત માધ્યમ એટલે કે ગ્રીન મોડ ઉપલબ્ધ કરાવવા માટે ઓથોરિટીએ સાયકલ શેરિંગ સિસ્ટમ (પબ્લિક બાઇક શેરિંગ)નું આયોજન કર્યું છે,

જે પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ફરવા માટે ઓછા ખર્ચે પર્યાવરણને અનુકૂળ મોબિલીટી પ્રદાન કરશે. એકતાનગરમાં પર્યાવરણીય ટકાઉપણાને તેમજ સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્કના વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી તમામ ઘરોમાં ‘પાઇપ્ડ નેચરલ ગેસ’ સપ્લાય કરવા માટે ગુજરાત ગેસ લિમિટેડ (GGL) દ્વારા સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે પરંપરાગત ઈંધણ સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા મુલાકાતીઓને કુદરતી વાતાવરણ અને સુંદર લેન્ડસ્કેપ્સનો આરોગ્યપ્રદ અનુભવ આપવા એકતાનગરમાં પ્રવાસીઓ માટે પર્યાવરણને અનુકૂળ પરિવહન ઉકેલ તરીકે ઇ-ગોલ્ફ કાર્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.

આ સાથે જ, ગ્રીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સસ્ટેનેબલ સોલ્યુશન્સના ભાગરૂપે તેમજ ૧.૪ મેગાવોટની સોલાર પાવર ઉત્પાદનની હાલની ક્ષમતામાં વધારો કરવા માટે ત્રણેય પાર્કિંગ ઉપર સોલાર પેનલ્સ ઈન્સ્ટોલ કરવાની યોજના છે, જે ચાર મેગાવોટ સોલાર પાવર જનરેટ કરશે. આમ, પ્રકૃતિના સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

એકતાનગરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે લગભગ રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિઝિટર્સ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું છે.આ વિઝિટર્સ સેન્ટર એક રિસેપ્શન સેન્ટર તરીકે કાર્ય કરશે, જે પ્રવાસીઓને માહિતી અને દિશા પ્રદાન કરશે. તેમાં પ્રવાસીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડતી દુકાનો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ, આરામ અને મનોરંજનની જગ્યાઓ પણ બનાવવામાં આવશે.

આ સાથે જ,રૂપિયા ૭.૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કમલમ્ પાર્કનું પણ લોકાર્પણ કરાયું છે જેમાં એકતાનગર ખાતે નર્મદા નદીના ડાબા કિનારે ડ્રેગન ફ્રૂટ, કે જે ભારતમાં ‘કમલમ’ તરીકે જાણીતું છે, તેની નર્સરી બનાવવામાં આવી છે.

આ નર્સરીમાં મુલાકાતીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે શિક્ષિત કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર આવેલું છે, તેમજ તેમને વિતરણ માટે ૯૧,૦૦૦ કમલમના છોડ પણ રાખવામાં આવ્યા છે. નર્સરીનું એકંદર વાતાવરણ અને કેક્ટસ ગાર્ડનની નજીકમાં તે આવેલો હોવાથી કમલમ પાર્ક એકતા નગરના મુલાકાતીઓ માટે એક રસપ્રદ આકર્ષણ બનશે.

વારાણસીની ભવ્ય મહાગંગા આરતીમાંથી પ્રેરણા લઈને, એકતાનગર ખાતે એકતા નર્સરીની બાજુમાં ખાસ બાંધવામાં આવેલા ઘાટ પર નર્મદાના કિનારે નર્મદા આરતી કરવામાં આવે છે.

આ સુંદર પરંપરાનું હવે વિસ્તરણ કરીને ઓથોરિટી નવી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજ નર્મદા આરતીનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે. આ પ્રયાસ અસંખ્ય શ્રદ્ધાળુઓને એકસાથે તો જોડવાની સાથે સાથે ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપતા વૈશ્વિક ધોરણો પણ સ્થાપિત કરશે.

સ્થાનિક હોટલો અને રહેઠાણોમાં પણ આરતીનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે તેમજ એકતા નગર ખાતે સ્થાપિત મોટી LED સ્ક્રીન પર આરતીનું પ્રસારણ કરવા માટે પણ સક્રિયપણે કામ કરાશે.

આ પહેલ આધ્યાત્મિક અનુભવને વધુ મોહક બનાવશે અને ધાર્મિક પ્રવાસન માટે એક હબ તરીકે એકતા નગરની ખ્યાતિમાં વધારો કરશે.

એકતાનગર ખાતે પ્રવાસીઓની સુવિધા માટે રૂપિયા ૭.૫ કરોડના ખર્ચે બે ફ્રિસ્કિંગ બૂથ સાથે ૧૫૦ મીટરના વોક-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ફ્રિસ્કિંગ બૂથની ક્ષમતા જૂના ફ્રિસ્કિંગ બૂથની સરખામણીએ ત્રણગણી છે. વડાપ્રધાનશ્રીના હસ્તે વોક-વેનું લોકાર્પણ કરાયું છે.ઉપરાંત એકતાનગરના રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે આરોગ્ય સંભાળની સુવિધાઓ વધારવાના ઉદ્દેશ સાથે અહીંયા ૫૦ બેડ્સની ક્ષમતા તેમજ ટ્રોમા સેન્ટરની સુવિધા સાથેની એક સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે. SSNNL દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના વિકાસ માટે આરોગ્ય વિભાગને ૬,૦૦૦ ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે.

વડાપ્રધાનના હસ્તે એકતાનગર ખાતે રૂ.૮૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.ના સહકાર ભવનનું લોકાર્પણ કરાયું છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિ. તરફથી બેંકને સહકાર ભવનના નિર્માણ માટે કેવડિયા કોલોની ખાતે ૧૪,૬૮૮ ચો.મી. જમીન ૯૯ વર્ષના ભાડા પટ્ટે ફાળવવામાં આવી છે.

આ ભવનનું નિર્માણ આર્કિટેક્ટ, PMC, કન્સલ્ટીંગ એન્જિનિયર, ઇન્ટીરિયર વગેરે નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. ગેસ્ટ હાઉસ બિલ્ડીંગમાં AC, TV તથા WiFi અદ્યતન ફર્નીચર સાથેની વ્યવસ્થા ધરાવતા એક VIP રૂમ, પાંચ VIP રૂમ, ૨૮ DELUX રૂમ, ૪૫-છ બેડના રૂમ, ડ્રાઈવર માટે ડોરમેટરી થઈને કુલ ૩૬૦ વ્યક્તિ માટે રહેઠાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ટ્રેઈનિંગ/મીટિંગની સુવિધા માટે અંદાજે ૩૦૦ વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા અને અદ્યતન ઓડિયો વિડિયો સીસ્ટમ સાથે ઓડિટોરીયમ પણ બનાવવામાં આવ્યું છે. ૩૫ વ્યક્તિઓનો કોન્ફરન્સ રૂમ બનાવી વિડીયો કોન્ફરન્સીંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.

સહકાર ભવનમાં ૧૩૬ વ્યક્તિઓ માટે જનરલ ડાઈનીંગ, ૫૬ વ્યક્તિઓ માટે VIP ડાઈનીંગ અને અદ્યતન કિચનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સંકુલમાં ૩૨૧ ટુ વ્હીલર, ૭૫ ફોર વ્હીલર માટે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. ભવનમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા ચિત્રકળાના નમૂના તથા મંદિર પણ બનાવવામાં આવ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *