Latest

સુરતને મળી નવી સોગાદ’: સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરતા પીએમ મોદી

સુરત, સંજીવ રાજપૂત: સુરત હવાઈ મથક ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રૂ.૩૫૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું.

સમગ્ર ભવનનું નિરીક્ષણ કરી વડાપ્રધાનએ તેની ડિઝાઇન તેમજ તેની આગવી વિશેષતાઓ અંગેની વિડીયો ક્લિપ નિહાળી હતી. કુલ ૨૫,૫૨૦ ચો.મીટરમા વિસ્તરેલા અને હાલમાં જ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો પામેલું સુરત એરપોર્ટ પરંપરા અને આધુનિકરણનો શ્રેષ્ઠ નમૂનો છે.

એરપોર્ટ પર બમણી ઇન્સ્યુલેટેડ રૂફિંગ પ્રણાલી, ઉર્જાની બચત માટે કેનોપી, LED લાઇટ, લો ફિટ ગેઇન ડબલ ગલેઝિંગ, વરસાદી પાણીના સંગ્રહણી વ્યવસ્થા તેમજ સુએઝ ટ્રીટમેન્ટ એકમ એરપોર્ટની વિશેષતાઓ દર્શાવે છે. સાથે જ ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

મુસાફરો માટે ૨૦ ચેક-ઈન કાઉન્ટર, ૫ એરોબ્રિજ, ૧૩ ઈમિગ્રેશન કાઉન્ટર, ૫૦૦ કાર પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ છે. વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક ૧૮૦૦ મુસાફરો અને વાર્ષિક ૩૫ લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે.

સુરત અને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક પરિવેશ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા ઉજાગર કરવા માટે ડિઝાઈન કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગનો અગ્રભાગ સુરત શહેરના રાંદેર વિસ્તારના કાષ્ટના જૂનીપુરાણી વસાહતોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયો છે.

ટર્મિનલના આંતરિક ભાગમાં રોગનની સ્થાનિક કળા કલાકૃત્તિ, જરી અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી તેમજ ગુજરાતના લોકપ્રિય પતંગોત્સવને દર્શાવતા મોઝેકકાર્યનું ચિત્રણ કરાયેલું છે.

હાલ સુરત એરપોર્ટ દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા (મોપા), પુણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા ૧૪ રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે.

અને સપ્તાહ દીઠ ૨૫૨થી વધુ પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે. તેમજ હવે આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થતા યાત્રી અવરજવર તેમજ કાર્ગો સંચાલનમાં વધારા સાથે સુરતને વ્યાપારિક અને આર્થિક ક્ષેત્રે વિકાસની નવી તકો પ્રાપ્ત થશે.

નોંધનીય છે કે, સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે વિશ્વપ્રસિધ્ધ હોવાથી સુરત હવાઈમથકને મળેલું નવું નજરાણું અને વધતી એર કનેક્ટિવિટી તેના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપશે. સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે. માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ નહીં પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ-ઉદ્યોગો માટે અવિરત આયાત-નિકાસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ સી. આર. પાટિલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ, કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *