અમદાવાદ, સંજીવ રાજપૂત:
ગુજરાતના NCC નિદેશાલય દ્વારા 25 એપ્રિલ 2025ના રોજ સુઇગામ સરહદી વિસ્તારના મામણા ગામના મામણા અનુપમ પાગર કેન્દ્ર શાળાના પરિસરમાં “વાઇબ્રન્ટ ગામ કાર્યક્રમ (VVP) (એક સરકારી પહેલ)”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્યભરના સરહદી ગામોના લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો અને તેમનામાં જાગૃતિ લાવવાનો છે. આ વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવા, આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને જીવનમાં એકંદરે ગુણવત્તામાં વધારો કરવા માટે VVP તૈયાર કરવામાં આવ્યો છે.
35 ગુજરાત બટાલિયન NCCના ઓફિસિએટિંગ CO લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારી એ ડૉ. અરવિંદ પ્રજાપતિ, SDM સુઇગામ; SI ઇશ્વરસિંહ, 137 BSF બટાલિયન અને ટીમ; શ્રી પ્રવીણ દાનજી, તહસીલદાર; શ્રી ઉમ્મેદ દાનજી, સરપંચ; ડૉ. મહિપાલસિંહ ગઢવી, મામણામાં આવેલી મામણા અનુપમ પાગર કેન્દ્ર શાળાના મેનેજિંગ ટ્રસ્ટી, અને શાળાના આચાર્યો સહિતના અતિથિઓનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં NCCના 250 કેડેટ્સ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દરેક વ્યક્તિએ ઇશ્વરને પ્રાર્થના કરીને તેમજ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને આગળ વધાર્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન, NCC કેડેટ્સ અને વિદ્યાર્થીઓએ નૃત્ય, વક્તવ્ય, ગીતો રજૂ કરીને તેમજ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ નામનું નાટક રજૂ કરીને કાર્યક્રમની સુંદરતામાં વધારો કર્યો અને ગામના લોકોમાં આ અંગે જાગૃતિ ફેલાવી હતી.
સુઇગામના SDM, BSFના SI અને મામણા ગામના સરપંચે તેમના સંબોધન દરમિયાન સરહદી વિસ્તારો માટે વાઇબ્રન્ટ ગામ કાર્યક્રમના મહત્વ પર તેમજ તેના ઉદ્દેશ્યો પર પ્રકાશ પાડ્યો હતો અને આવા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા બદલ NCC નિદેશાલય, ગુજરાતનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં ભાગ લેનારા NCC કેડેટ્સ અને શાળાના બાળકોમાં સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારી, ઓફિસિએટિંગ CO, 35 ગુજરાત બટાલિયન NCC, પાલનપુર અને સુબેદાર મેજર સુધીશ કે. એ અતિથિઓને સ્મૃતિચિહ્ન આપીને તેમનું સન્માન કર્યું હતું અને કાર્યક્રમના સફળ સંચાલન બદલ ઉપસ્થિત રહેનારા તમામ મહેમાનો, શાળાના આચાર્યો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.