દાંતા વન વિભાગ દ્વારા ૭૪૦ કિલો પ્લાસ્ટીકનો કચરો એકત્રિત કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ના ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા વન વિભાગના દાંતા પૂર્વ અને પશ્ચિમ રેન્જના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ, પર્યાવરણ પ્રેમીઓ તથા ગ્રામજનોએ સહિયારા પ્રયત્નો થકી શ્રમદાન કર્યું હતું. જિલ્લા નાયબ વન સંરક્ષકશ્રી ચિરાગ અમીનના માર્ગદર્શન હેઠળ દાંતા વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્ત બનાસકાંઠાના ધ્યેય સાથે પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરવામાં આવ્યો હતો.
વન વિભાગ દ્વારા દાંતાના ત્રિશુલિયા ઘાટ, વ્યુ પોઇન્ટ (પી.વાવ), શેભર ગોગ મહારાજ પૌરાણિક મંદિર (શેરપુરા), અંતરશા દરગાહ (દાંતા), માણેક નાથ મંદિર (લોટોલ), અને વિર મહારજ મંદિર (પેથાપુર) જેવા ધાર્મિક અને પર્યટન સ્થળોએ પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરાયો હતો.
પર્યાવરણ દિવસ નિમિત્તે વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક વન મંડળી, પર્યાવરણ પ્રેમીઓ તથા ગ્રામજનોના સહિયારા પ્રયાસથી નદી-નાળા, ઇકોઝોન અને તીર્થસ્થળો પરથી કુલ ૭૪૦ કિલો જેટલો પ્લાસ્ટિક કચરો એકત્ર કરી તેના યોગ્ય રીસાઇકલ માટે સ્થાનિક નગરપાલિકાને સોંપવામાં આવ્યો હતો.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી